પુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar)

23:53



લગ્નને કારણે સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો કોઈ પણ સ્વીકારશે



સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ મહિનાથી લગ્નની એનીવર્સરીની મોસમ ચાલી રહી છે. લગ્નની વર્ષગાંઠના આંકડાઓ જોઈને વિચાર આવ્યો કે પુરુષો પરણે છે કેમ? હાલમાં જ મોળાકાત અને જયાપાર્વતીના તહેવારો ઉજવાઈ ગયા સારો વર મેળવવા માટે. પુરુષોને ય તકલીફો હોય છે સારી પત્ની મેળવવા માટે એટલે જ તો પત્ની વિશેના જોક દ્વારા તેઓ વધુ રડતાં હોય છે, પણ તેઓ કદીય કોઈ વ્રત નહીં કરે કારણ કે તેમને ક્યારેય બંધન જેવું લાગતું જ નથી. પૈસા અને પાવર બે બાબત સાથે પુરુષને મનગમતી ફ્રિડમ મળી જતી હોય છે. અને એટલે જ કેટલાક પુરુષોને ક્યારેક તો એવું થાય કે પરણેલા ન હોત તો સારું.

જોકે, એ કેટલોક વખત જ થાય હંમેશ નહીં, કારણ કે પરણવાના અનેક ફાયદા છે તે દરેક વ્યક્તિ સમજતી જ હોય છે. એક વાચકે પૂછ્યું કે પુરુષને બિચારાને લગ્ન કરીને શું ફાયદો? તેણે તો જવાબદારીઓ જ ઉઠાવવાની ને. વળી સ્ત્રીઓ પણ પુરુષની પાસે કેટલા પૈસા છે તે જ જોતી હોય છે.

ટૂંકમાં પેલા ભાઈનું કહેવું હતું કે લક્કડકા લાડુ ખાયે વો ભી..... વાક્ય તમે મનમાં પૂરું કરી જ નાખ્યું છે. પરંતુ, સાવ એવું નથી, લગ્નના ફાયદા ન હોય તો કોઇ લગ્ન કરે જ નહીં. જો પુરુષ તરીકે તમે વિચારતા હો કે સેક્સ માટે જ પુરુષો લગ્ન કરે છે તો ભૂલો છો. અને પૈસા માટે જ સ્ત્રી લગ્ન કરે છે તો ગરીબ વ્યક્તિના લગ્ન થતાં જ નહોત. પત્ની અંગેના દરેક જોક અને મજાકને બાજુ પર મૂકીને વિચારશો તો સમજાશે કે હકીકતમાં લગ્ન પુરુષને જેટલા લાભકારક હોય છે તેટલા સ્ત્રીને નથી હોતા. આ બાબત અનેક રિલેશનશીપ કોચ, સાઈકોલોજીસ્ટ અને સંશોધનકારોએ કહી છે. પહેલું તો પરણેલા પુરુષ લાંબું જીવે છે. મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચ જણાવે છે કે પરણેલા પુરુષો પરિણીત સ્ત્રી કરતાં લાંબું જીવે છે. તેમાં ય જો સ્ત્રી પુરુષ વચ્ચે ઉંમરનો તફાવત વધુ હોય તો સ્ત્રીની આવરદા ઓછી હોય છે, જ્યારે પરિણીત પુરુષની આવરદા કોઇપણ સંજોગોમાં વધુ જ રહે છે.

આજે મોટાભાગના પુરુષો લગ્ન કરતાં ડરે છે તેમાં અનેક બીજા કારણો ય છે. જેમકે પિતૃસત્તાક માનસિકતા હોવાને કારણે આર્થિક જવાબદારી પુરુષોની જ હોય એવી માન્યતાને લીધે જવાબદારીનો ભય, છૂટાછેડા થાય તો આપવી પડતી રકમ... અને માનસિક પ્રતારણા ય મોટો ભાગ ભજવે છે. તેમાં વળી કમિટમેન્ટ ફોબિયા તો હોય જ. બીજો ડર તેમને એ લાગતો હોય છે કે સ્ત્રી તેમને બદલવા માટે જ આવી રહી છે. સ્ત્રી જેટલી સહજતાથી પોતાનું ઘર, શહેર, સ્વભાવ બદલી શકે છે લગ્ન બાદ તેટલી સહજતાથી પુરુષો બદલાવા માટે તૈયાર નથી હોતા કારણ કે તેમણે બદલાવું પડે એવી માનસિકતા ઊભી કરવામાં આવતી નથી.વળી જો પુરુષ બદલાય તો બાયલો ગણાય તેવી માન્યતા. ઊલટાનું નથી જ બદલાવું તેની માનસિક તૈયારી પણ કરી લેતાં હોય છે, પણ છેવટે તો બદલાવું પડતું જ હોય છે, કારણ કે જ્યારે બે વ્યક્તિ જોડાતી હોય છે તો બન્નેએ પોતપોતાની થોડી સ્પેસ સામી વ્યક્તિને આપવી જ પડતી હોય છે. નહીં તો બે વ્યક્તિઓ ક્યારેય જોડાઈ શકતી નથી. બન્ને વ્યક્તિઓ વચ્ચેના અંકોડા જોડાઈ શકતા નથી તો ક્યારેય તેઓ સાથે રહી શકતા નથી. આ પોતાની સ્પેસ આપી દેવાની વાતથી પુરુષોને ગભરામણ થતી હોય છે. પણ જ્યારે એ પુરુષ લગ્ન કરે છે અને સામી વ્યક્તિ સાથે દિલથી જોડાય છે ત્યારે એને ધીમે ધીમે લગ્નના લાભ જણાતા હોય છે.

લગ્નના કેટલાક લાભ જોઇએ. હકીકતમાં લગ્ન કરેલાં પુરુષની તબિયત અપરિણીત પુરુષ કરતાં સારી હોવાને લીધે તેઓ લાંબી આવરદા ભોગવતાં હોય છે. (માનો યા ના માનો) થોડું ઘણું ક્યારેક સ્ટ્રેસ સંબંધોમાં આવી શકે પણ ઓવરઓલ મુખ્ય કેટલાક લાભ છે તે જીવનને સ્વસ્થ અને હરિયાળું બનાવતાં હોય છે. તે જોઇએ...

૧. તમારી કાળજી લેનાર કોઇ વ્યક્તિ હોય છે. બીજું તમે જ્યારે માંદા હો છો ત્યારે માની જેમ કાળજી લેતી સ્ત્રી તમારી પત્નિ હોય છે. નાની મોટી ફરિયાદ સાંભળનાર કોઇક હોય છે. પરિણીતોને આર્થિક અને સામાજિક લાભ મળી શકે છે. જેમકે આજે તો પતિપત્નિ બન્ને જણા કમાતા હોય છે. એટલે કમાણીની તાણ પુરુષને ઓછી હોય છે. તમે નાનીમોટી માંદગીમાં એકલા નથી હોતા એ વિચારમાત્ર સુખકર હોય છે. માથું દુખતું હોય ગમે તે કારણે પણ પત્નિનો હૂંફાળો સ્પર્શ તેની કાળજી જાદુ કરી શકે છે. જો તમે એકલા હો તો ગોળી ખાઈને સૂઈ જવા સિવાય કોઇ રસ્તો હોતો નથી.

૨. મિત્રતા અને કમ્પેનિયનશિપ - લગ્ન તમને એકલતા નથી અનુભવવા દેતું. તમારી નાનામાં નાની ક્ષુલ્લક વાતો સાંભળનાર કોઇ છે તે કેટલું શાંતિ અને સુખકર હોય છે તેની કલ્પના તમે લગ્ન પહેલાં નથી કરી શકતા. વળી જીવનભર સાથ આપતો સાથી સાથે હોય તે વિચારમાત્ર તમને શાંતિ આપતો હોય છે. તાણમુક્ત કરતો હોય છે. તેને કારણે સ્વાસ્થ્ય પર સારી અસર થતી હોય છે.

૩. પરણેલા પુરુષો ઓછું સ્મોક કરે છે. સ્ટેટેસ્ટિક દર્શાવે છે કે પરિણીત યુગલો ઓછું ધૂમ્રપાન કરતાં હોય છે. ધૂમ્રપાન કરનારાં મોટેભાગે એકલતા અને સતત તાણ અનુભવતાં હોય છે. પરિણીત પુરુષ સહજતાથી તાણમુક્ત થતો હોવાને કારણે સ્મોકિંગ સરળતાથી છોડી શકતો હોય છે. આમ સ્વાસ્થ્યને નુકસાન કરતું એક કારણ ઓછું થાય છે.

૪. જીવન સરળ બની જાય છે. જે પુરુષો લગ્ન વિશે અને પત્ની વિશે જોક કરતાં હોય છે તેમને પૂછજો કે શું તમે છૂટા થવા તૈયાર છો? કેમ મોટાભાગના પુરુષો છૂટાછેડા નથી લેતા કે નથી પરણતાં કારણ કે કોઈક તમારી સાથે હોય ત્યારે જીવનમાં અનેક સરળતા અનુભવાતી હોય છે. જીવનની કોઈપણ સમસ્યા એકલે હાથે નથી ઉકેલવાની રહેતી તે અહેસાસ પણ તમારું સ્ટ્રેસ અને એકલતા દૂર કરે છે.

૫. પ્રેમ કરવાનો આનંદ પણ અનેરો હોય છે. તમને કોઈ પ્રેમ કરે તે જેટલું સારું લાગી શકે છે તે જ રીતે તમે કોઈને પ્રેમ કરો તેમાં પણ આનંદ મળતો હોય છે. તેમાં પણ બાળક થાય ત્યારે પિતા તરીકે નિસ્વાર્થ પ્રેમ કરવાનો આનંદ વર્ણવી શકાય તેવો નથી હોતો. વ્યક્તિને જો પ્રેમ કરવામાં આનંદ ન આવતો હોત તો લગ્ન સંસ્થા ટકી જ ન હોત એવું કહી શકાય.

૬. તમે તમારી જાતને જુદી રીતે પામી શકો છો. લગ્ન બાદ સામી વ્યક્તિ જે રીતે તમને પ્રેમ કરે છે, જાણે છે, સમજે છે તેનાથી તમને તમારી જુદી ઓળખ મળે છે. આજના જમાનામાં તો ફક્ત સેક્સ માટે પુરુષ લગ્ન કરતો નથી તે હકીકત છે. લગ્નને કારણે તમને સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો માનશો જ ને... અપરિણીત કરતાં પરિણીત પુરુષો માનસિક રીતે વધુ સ્વસ્થ હોય છે. કોણ બોલ્યું લગ્ન નિભાવવા કેટલા ડીફિકલ્ટ છે કે તેને ડીલ કરતાં જ માનસિક રીતે સ્ટ્રોન્ગ થઈ જવાય....

૭. પરિણીત પુરુષોની સેન્સ ઑફ હ્યુમર એટલે કે રમૂજવૃત્તિ અને સહનશક્તિ ઘણી સારી હોય છે. તેની અસર પણ શારિરીક, માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આ વાત સાથે તો સૌ પુરુષો સહમત થશે જ.

સ્ટેક ઍન્ડ એસ્લેમેન ૧૯૯૮ અને બ્રોકમેન ઍન્ડ ક્લેઇન ૨૦૦૪ની સાલમાં કરેલા સંશોધનમાં ય એવું સાબિત થયું છે કે સત્તરથી સોળ દેશોમાં અપરિણીત કરતાં પરિણીત વ્યક્તિઓ સુખી અને સંતોષથી જીવન જીવતી હોય છે. અને એ કારણોથી લાંબું જીવન જીવતી હોય છે. લગ્ન કરેલી વ્યક્તિ પોતાની જવાબદારી સમજતી હોય છે. બીજાનો વિચાર કરીને પોતાનું પણ યોગ્ય રીતે ધ્યાન રાખતી હોય છે. અને જો નથી રાખતી તો નેગિંગ એટલે કે ટક ટક કરીને પણ સતત બીજાની કાળજી ય લેતી હોય છે. જે ન ગમતું હોવા છતાં ફાયદાકારક છે. કોઇક તો છે જેને તમારામાં રસ છે. તમે સારું અને સ્વસ્થ જીવો તેમાં રસ છે. લગ્ન સંસ્થામાં કદાચ થોડી ઘણી તકલીફો ય હશે પણ કિમ ઍન્ડ મેકેની (૨૦૦૨), માર્કસ ઍન્ડ લેમ્બર્ટ (૧૯૯૮), વિલ્સન ઍન્ડ ઓસ્વાલ્ડ (૨૦૦૫) આ ત્રણેય સંશોધનકારોનો એક મત રહ્યો છે કે બીજી કોઇપણ લિવિંગ એરેન્જમેન્ટ કરતાં લગ્નસંસ્થા વધારે લાભકારક અને માનવજાત માટે સારું જીવન જીવવા માટે ઉપયોગી બની રહી છે. તેમાંય જેટલું લાંબું લગ્નજીવન તેટલી જ વ્યક્તિઓ વધુ સુખી અને સ્વસ્થજીવન જીવે છે, કારણકે લગ્નસંબંધમાં જ સલામતી દરેક રીતે અનુભવાતી હોય છે. જ્યારે બીજા સંબંધોમાં આપણને સતત અવિશ્ર્વાસ અને અસલામતી અનુભવાય છે જે માનસિક શાંતિ નથી આપી શકતી. આપણે ત્યાં પચાસ, સાઠ વરસનું લગ્નજીવન નિભાવનાર વ્યક્તિઓ શારીરિક, માનસિક રીતે વધારે સ્વસ્થ જીવન જીવ્યા હોય તેવા દાખલા મળી જ રહેશે. આપણને પેલી કહેવત તો યાદ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અને આ શક્ય છે એકમાત્ર લગ્ન કરવાથી અને લગ્ન ટકાવવાથી..... વળી વરસાદી માહોલમાં પત્નીના હાથના ગરમાગરમ ભજીયા અને ચા પીવાનો જે આનંદ હોય છે તે અપરિણીત નર શું જાણે? સૌ પરિણીત પુરુષોને સ્વસ્થજીવનની શુભેચ્છા...


You Might Also Like

0 comments