સફળતા માટે આત્મવિશ્ર્વાસ કેળવવાની જરૂર (mumbai samachar)

04:54





આજની નારી ચાંદને અડી આવે કે એવરેસ્ટ સર કરે કે પછી પાતાળને માપે પરંતુ, મોખરે રહેવામાં હજી ટકાવારી ઓછી જ છે. એવું શું છે સ્ત્રીઓમાં કે તે એકવીસમી સદીમાં પણ પુરુષના જગત સામે હાર માની લે છે. આ વિચાર આવ્યો જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પચાસ ટકા સીટ મહિલાઓ માટે આરક્ષિત હોવા છતાં તેમનું પર્ફોર્મન્સ હાઉસમાં નહીંવત હોય છે. એવું પણ જોવા મળે છે કે મોટા ભાગની મહિલા નગરસેવકો પોતાના કાર્યકાળ દરમિયાન એકપણ પ્રશ્ર્ન નથી પૂછતી. ટૂંકમાં તેમણે ક્યારેય પોતાના કામની બાબતે રસ લીધો જ નથી. કેટલાક કિસ્સામાં તો મહિલા નગરસેવિકાના પતિઓ જ પાછળથી દોરીસંચાર કરતા હોય છે. મીડિયા સાથે એકાદ વાક્ય પણ તેઓ બોલી શકતી નથી. આ વખતની કેન્દ્રની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની ટકાવારી જોઇએ તો ભારત આખાય વિશ્ર્વમાં પાછળ છે. ફક્ત ૧૦.૯ ટકા મહિલાઓ ચૂંટાઈને આવી હતી. કેન્દ્રમાં છ ટકા પ્રધાનો મહિલા હોવાનો આનંદ લઈ શકાય પણ શું ત્યાં જ અટકી જવાનું છે? હજી આ વિચાર ચાલી જ રહ્યા હતા કે એક મૈત્રિણીએ કહ્યું કે તે પોતાની વિચારધારા બદલી રહી છે. એ વળી શું ? તો કહે હું હવે પુરુષોની જેમ વિચારું છું. સ્ત્રીઓની જેમ નહીં.

પુરુષોની જેમ વિચારવું એટલે શું ? વધુ ઇમોશનલ ન થવું. પોતે શું કરવા માગે છે એમાં લાગણીઓથી દોરવાવું નહીં. દિલથી નહીં પણ દિમાગથી વિચારવું અને વર્તવું. હા ઘરમાં દિલથી વિચારો તે વાત અલગ છે, પણ પ્રોફેશનલ લાઈફમાં એટલે કે કારકિર્દીમાં દિલથી વિચારવાનું નહીં જ. કેન્દ્રની ચૂંટણીના પરિણામ વખતે સુષમા સ્વરાજ જીત્યાં ખરાં પણ તેમના ચહેરાના ભાવ જો વાંચી શક્યા હો તો રીસ જણાઈ આવતી હતી. સ્ત્રી રીસ કરે પ્રેમી કે પતિ સામે તે ચાલે પણ જ્યારે તે બહાર પુરુષો સાથે હરીફાઈમાં હોય ત્યારે રિસને છુપાવતાં, મુત્સદ્દી બનતાં શીખવું પડે. જો કે પછી સુષમા સ્વરાજ વિદેશપ્રધાન તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અને મુત્સદ્દીપૂર્વક વર્તીને પોતાની ક્ષમતાને પુરવાર કરવામાં સફળ રહ્યાં છે. મોટા ભાગે સ્ત્રીઓ અસફળ રહે છે, કારણ કે તેમનામાં સફળતા માટે જરૂરી કેટલાક ગુણો નથી હોતા. બોસ્ટન ગ્લોબ મેગેઝિનમાં એક લેખ થોડા સમય પહેલાં આવ્યો હતો તેમાં ફિએના મુરે જેઓ એમઆઈટી સ્લોન સ્કુલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એસોસિએટ્સમાં ઓન્ટ્રપ્રનરશિપના પ્રોફેસર છે. તેઓ લખે છે કેપુરુષો દ્વારા સંચાલિત કંપનીઓને ફંડ મળવાની શક્યતા મહિલા સંચાલિત કંપનીઓ કરતાં ૪૦ ટકા વધી જાય છે. એનું કારણ છે કે મહિલાઓમાં આત્મવિશ્ર્વાસ ઓછો હોય છે. ભારતમાં ગ્રામપંચાયતમાં અને રાજ્યકક્ષાએ મહિલાઓને બરોબરીની બેઠક મળે છે. એટલે કે ૫૦ ટકા બેઠકો અનામત મહિલાઓ માટે હોય છે. તેમાંથી એકાદ બે ટકા મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરે છે, પણ બાકીની મહિલાઓને જાહેર જીવનનો અભ્યાસ હોતો નથી અને ન તો તેને માટે પોતાને તૈયાર કરવાની તૈયારી હોય છે. જો કે તેમાં એમનો વાંક હોતો નથી. 

ગમે તેટલું શિક્ષણ લીધું હોય અને ગમે તેટલી હોશિયાર સ્ત્રી હોય તે છતાં જ્યારે પર્ફોર્મન્સની વાત આવે છે તો આત્મવિશ્ર્વાસ ઓછો પડે છે. તેને કારણે જ સફળ સ્ત્રીઓની ટકાવારી આજે પણ ઓછી છે. આપણે સ્ત્રીઓ સતત ફેઇલ્યોરિટીના, અસફળ થવાના ભયમાં જીવતા હોઇએ છીએ. એ માનસિકતા જો સમજીને બદલી શકાય તો સફળ થવું અઘરું નથી હોતું. તો શું કરવું? આ પ્રશ્ર્ન આપણને થાય તો ફિએના મુરે કેટલાક મુદ્દાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. તેમનું કહેવું છે કે પુરુષોની જેમ વિચારતાં, જીવતાં શીખો. જો કારર્કિદીમાં સફળ થવું હોય તો સ્પોર્ટ્સમાં રસ લો, નેટવર્ક ઊભું કરો અને આત્મવિશ્ર્વાસ કેળવો. આપણે આજના પ્રશ્ર્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું જોઇએ. જ્યારે મહિલાઓ લાંબા ગાળાની સમસ્યાઓ તરફ વધુ ધ્યાન આપતી હોય છે.

તકને જલદી ઓળખીને અપનાવવામાં પણ સ્ત્રીઓ પાછળ રહી જતી હોય છે. કારણ કે સતત તેઓ અસલામતી અને અસફળતાના માપદંડથી જ પોતાને મૂલવતી હોય છે. આમાંથી બહાર આવી જ શકાતું હોય છે. સરળતાથી. આત્મવિશ્ર્વાસ કેળવી શકાય છે. આત્મવિશ્ર્વાસ સાથે કોઇ જન્મતું નથી. સ્મૃતિ ઇરાની, સુષમા સ્વરાજનો આત્મવિશ્ર્વાસ જુઓ. તેઓ જ્યારે પણ કંઇ બોલશે ત્યારે એની આંખોમાં, અવાજમાં આત્મવિશ્ર્વાસ છલકાતો સ્પષ્ટ જોઇ શકાય છે. મુત્સદ્દીપણું જે બોલવામાં જરૂરી હોય છે અને પછી વર્તનમાં તે એમણે પુરવાર કરી આપ્યું છે. એટલે બે-ત્રણ બાબતો હોય છે આત્મવિશ્ર્વાસ માટે કે તમે જે કામ કરો છો તેને માટે અસફળતાનો ભય ન સેવો. જે કહો તે સ્પષ્ટતાપૂર્વક કહો. અચકાઓ નહીં. નવા વિચારો અને આઇડિયાઝને ભવિષ્ય માટે સાચવી ન રાખો તેને તરત જ અમલમાં મૂકો કે બોસને કહો. તમારા દરેક કાર્ય અંગે અભ્યાસ કરો. સંશોધન કરો. બીજાને સાંભળતાં પણ શીખો. અને ક્યારેય હું આમ વિચારું છું એ શબ્દપ્રયોગ ન કરો. તમે જે માનો છો તે સ્પષ્ટ રીતે કહેતાં શીખો. રિપીટેટિવ ન બનો. મોટા રૂમમાં બોલતાં કે પ્રવેશતાં અચકાઓ નહીં. ડ્રેસિંગ સેન્સ કેળવો. ગમે તે ડ્રેસ પહેરીને કામ પર ન જઈ શકાય. પાર્ટી અને કેઝયુઅલ ડ્રેસ પહેરીને ઓફિસમાં કે ક્લાયન્ટને ન જ મળી શકાય. તમારા આઇડિયાઝ કે સલાહ સામી વ્યક્તિને પસંદ ન પડે તો તેમાં માફી માગવાની જરૂર નથી હોતી. ફક્ત તેમનો પોઇન્ટ ઓફ વ્યુ ધ્યાનપૂર્વક સાંભળીને તમારો પોઇન્ટ ઓફ વ્યુ સમજાવો. ગુનાહિતતાનો ભાવ લઈને ન ફરો. કોઇ બાબત ન જાણતા હો તો નમ્રતાપૂર્વક તે સ્વીકારતાં કે કબૂલતાં નાનપ ન અનુભવો અને લાગણીઓને કાબૂમાં રાખતાં શીખવું જરૂરી છે. રીસ, ગુસ્સો, ચીડિયાપણું સફળતાના રસ્તે ન ચાલે. પ્રોફેશનલ એટિટ્યુડ સફળ પુરુષોને ઓબ્ઝર્વ કરીને શીખી શકાય.

You Might Also Like

0 comments