ટુ બી ઓર નોટ ટુ બી

04:46


















સેક્સપિયરના હેમલેટ નાટકનો સંવાદ ટુ બી ઓર નોટ ટુ બી એટલો પ્રખ્યાત થયો કે તેનો સંદર્ભ સમજાવવાની જરૂર રહેતી નથી. પોતાના જીવનમાં સર્જાતા સંજોગો કે જેમાં તમે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હો ત્યારે સેક્સપિયર આપણામાં પ્રવેશીને ટુ બી ઓર નોટ ટુ બી બોલીને વધુ વિચારવાનો સમય મેળવી લેતાં હોઈએ છીએ. ટુ બી ઓર નોટ ટુ બી સ્ત્રી-પુરુષની માનસિકતામાં હંમેશ હોય જ છે. સ્ત્રી પુરુષના સંબંધો લગ્ન બાદ પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં ભાગ્યે જ હોય છે. આ રંગીન સંબંધોમાં અનેક રંગો ઉમેરાતાં હોય છે અને નવો સંબંધ બનતો હોય છે. લગ્નબાહ્ય સંબંધોની વાત નહીં પણ ફક્ત સ્ત્રી-પુરુષની જ વાત કેમ ન થઈ શકે? કોઈ પણ સંબંધ વિશ્ર્વાસના પાયા પર ચણાતો હોય છે.

એ વિશ્ર્વાસનો પાયો નબળો હોઈ શકે કે તેને તોડી પાડવામાં બેમાંથી એક વ્યક્તિનો હાથ હોઈ શકે. આપણે ત્યાં હંમેશાં એ વિશ્ર્વાસને તોડવાનો આરોપ પુરુષ ઉપર મૂકવામાં આવતો હોય છે. સમાજમાં સેક્સ અને સંબંધો માટે અનેક માન્યતાઓ અને દંભને પોષવામાં આવે છે. બીજું કે જવાબદારી ઉપાડવાની આવે તો પુરુષ તરફ જોવાય છે, સ્ત્રી પણ પુરુષની જવાબદારી બની જાય છે આપણા સમાજમાં.

આ વિચાર આવ્યો જ્યારે કેટલાક પુરુષોને વાત કરતાં સાંભળ્યા કે હવે જે સંજોગો બદલાયા છે તેનાથી પુરુષોને હવે સ્ત્રીઓથી ડર લાગવા માંડ્યો છે. અથવા તેમનું કહેવું હતું કે તેઓ સ્ત્રીઓ પર ભરોસો કરી શકતા નથી. પુરુષો સાથે સંબંધો બાંધવામાં રસ સ્ત્રીઓને પણ હોય છે, પરંતુ ક્યારે તેઓ પુરુષ પર બળાત્કારનો કે જાતીય સતામણીનો આરોપ મૂકી દે તે કહેવાય નહીં. સ્ત્રી અને પુરુષમાં એકબીજા માટેનું આકર્ષણ સહજ હોય છે. પણ હવે સ્ત્રીને પુરુષ પર વિશ્ર્વાસ હોતો નથી ને પુરુષને સ્ત્રી પર વિશ્ર્વાસ નથી રહ્યો. પિતૃસત્તાક માનસિકતાની વાત ત્યાં ખરી પડે છે કે સ્ત્રીઓ પોતાના વર્તનની જવાબદારી હજી આજે પણ એકવીસમી સદીમાં સ્વીકારવા તૈયાર હોતી નથી. એ છોકરાઓ જે ચર્ચા કરી રહ્યા હતા તેમાં કેટલાક મુદ્દાઓ વિચારવા લાયક હતા. એક છોકરાએ કહ્યું કે જો છોકરી પ્રેમ સંબંધમાં છોકરાને છેહ દે તો તે બળાત્કારની ફરિયાદ પોલીસમાં જઈને કેમ ન કરી શકે? લગ્ન બાદ જો કોઈ સ્ત્રી કુંવારા છોકરા સાથે સંબંધ બાંધે તો તેમાં પુરુષનો જ વાંક કઈ રીતે? જો સ્ત્રી પુરુષને ફોસલાવે તો પણ પુરુષ જ કેમ ખરાબ?

આ લેખ લખાઈ રહ્યો છે તે સમયે હાઈ કોર્ટમાં જસ્ટિસ મૃદુલા ભાટકરે એક ચુકાદો આપ્યો કે ભણેલી છોકરીઓ લગ્ન પહેલાં બાંધેલા શારીરિક સંબંધ બાંધ્યા બાદ જો છોકરો લગ્ન કરવા ન માગતો હોય તો તેમના પર બળાત્કારનો આરોપ મૂકી ન શકે. કારણ કે ભણેલી ગણેલી છોકરીઓને પોતે શરીર સંબંધ બાંધી રહી છે તે માટે સભાન હોય છે. પોતાના કૃત્યની જવાબદારી પોતે જ લેતા શિક્ષિત છોકરીઓએ શીખવું જોઈએ. કારણ કે તેમને ખબર હોય છે કે તેઓ લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધી રહી છે. સમાજમાં વર્જિનિટી માટેની માન્યતાઓને બહાલી ન આપવી જોઈએ. આ વર્જિનિટીના ખોટા ખ્યાલને કારણે જ છોકરીઓ આવો આરોપ લગાવતી હોય છે. હાઈકોર્ટમાં જે કેસ માટે આવું જજમેન્ટ આપવામાં આવ્યું તે કેસમાં એક છોકરીએ પોતાના ૨૧ વરસના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં બળાત્કારનો કેસ દાખલ કરતાં લખાવ્યું હતું કે તેના બોયફ્રેન્ડે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એટલે તેણેે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમાચાર વાંચ્યા બાદ ખરેખર જ લાગ્યું કે જો છોકરીએ સંબંધ તોડી નાખ્યો હોત તો પણ શું તે બળાત્કારની ફરિયાદ નોંધાવત?

ભણેલી-ગણેલી છોકરીઓ જ્યારે દરેક બાબતને પોતાના સંદર્ભે જ જો સંબંધોને લઈ જતી હોય તો તેમાં પુરુષને વિશ્ર્વાસ કેમ બેસે? એક મહિલા તરીકે પણ મને લાગે છે કે દરેક પુરુષને રેપિસ્ટ માની લઈને તેના પર અવિશ્ર્વાસ મૂકવો તે યોગ્ય નથી. સ્ત્રીઓને પુરુષના ઈન્ટેન્સનની કે તેની નજરોની ખબર પડી જતી હોય છે. એટલે જો તેને લાગે કે આ પુરુષ પર વિશ્ર્વાસ મૂકી શકાય છે તો પછી શંકાને વચ્ચે ન લાવવી જોઈએ. અહીં ક્વીન ફિલ્મને યાદ કરીએ, કંગના રણૌત એકલી હનીમૂન કરવા પેરિસ અને એમ્સ્ટરડૅમ જાય છે ત્યાં બીજા દેશના પુરુષો સાથે એક રૂમમાં રહેવું પડે છે. પુરુષો પર વિશ્ર્વાસ ન મૂકવાનું શીખેલી ભારતીય છોકરી ડરતાં ડરતાં પુરુષો સાથે રહેવા તૈયાર થાય છે અને એ પુરુષો તેના સારા મિત્રો બની જાય છે. જે એને એક સ્ત્રી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે આદર આપતાં હોય છે. પુરુષો પર સતત અવિશ્ર્વાસ રાખવાનું પણ પુરુષો જ પોતાની બહેન-દીકરીને શીખવતાં હોય છે. તે પણ નવાઈની વાત નથી? પોતાની દીકરી કે બહેન બીજા પુરુષ સાથે મિત્રતા રાખે તેમાં એમને કેટલો વાંધો હોય છે કે ક્યારેક તેઓ પોતાની બહેન-દીકરીનું કે સામા પુરુષનું ખૂન કરી નાખતાં અચકાતાં નથી. એટલે એવું કહી શકાય કે પુરુષો પર વિશ્ર્વાસ રાખવો નહીં તે માટે પુરુષો અને સ્ત્રીઓ બંન્નેની માનસિકતા જવાબદાર છે. આજે મહિલાઓ ભણી-ગણીને પોતાની કારકિર્દી ઘડતી હોય છે. લગ્ન કર્યા વિના રહેવાનો નિર્ણય પણ લેતી હોય છે, પરંતુ સહજતાથી પુરુષ સાથેની મિત્રતા કેળવી શકતી નથી. તો સામે પક્ષે મહાનગરોમાં એવી પણ યુવતીઓ છે જે સહજતાથી પુરુષોની સાથે મિત્રતા બાંધતી હોય છે એટલું જ નહીં તેમની સાથે સંબંધો બાંધતા પણ અચકાતી નથી. દરેક સંબંધોનો અંજામ લગ્ન જ હોવો જોઈએ એ જરૂરી નથી તે બાબતે પણ તેઓ સ્પષ્ટ  હોય છે. પુરુષ અને સ્ત્રી કદી ય મિત્ર બની શકે જ નહીં તેવું માનનારો પણ વર્ગ છે. કારણ કે તેમને સહજ બંધાતા સંબંધો આવકાર્ય નથી હોતા.

ક્વીન ફિલ્મમાં આપણે એ રીતે ચારેક પુરુષો સાથે એક જ રૂમમાં રાત વીતાવતી સ્ત્રીનાં પાત્રને વધાવી શકીએ છીએ પણ વાસ્તવિકતામાં આપણે આ રીતે જો બે મિત્રો એક ઘરમાં રહે તો તેનો સ્વીકાર કરી શકતા નથી. કારણ કે આપણે સ્ત્રી અને પુરુષના સંબંધને બસ એક જ દૃષ્ટિથી જોવા ટેવાયેલા છે. એમ તો લગ્ન બાદ પણ અનેક રાત એવી જતી હોય છે કે સ્ત્રી પુરુષ વચ્ચે સેક્સ સંબંધ હોતો નથી કે સેક્સ જ ન હોય તેવું પણ બને. અને શું લગ્ન સેક્સ માટે જ કરવામાં આવે છે? આવા દંભને પોષીને સમાજને ખોખલો બનાવવામાં આવે છે. હાલમાં જ એક સખીએ પોતાની વાત કરી કે તે એના પતિ સાથે બહારગામ ગઈ ત્યાં પતિની સ્ત્રી મિત્રના ઘરે રાત રોકાવાનું હતું. મારી સખી ત્યાં નહોતી જવા માગતી કારણ કે તેની પાસે રજા નહોતી પણ પતિની સ્ત્રી મિત્રનો આગ્રહ હતો કે તે એની પત્ની સાથે જ આવે. મારી સખીએ જ્યારે પતિની સ્ત્રી મિત્રને પૂછ્યું કે હું સાથે ન હોઉં તો શું મારા પતિ તમારા ઘરમાં ન રહી શકે? તો પેલી સ્ત્રી મિત્રએ ચોખ્ખી ના પાડી. મારો પતિ રેપિસ્ટ નથી એની ખાતરી આપું તો પણ? ખેર, પેલા બહેન નારીવાદી અભિગમ ધરાવતાં હોવા છતાં સમાજના ડરે કે પછી તેમને થયેલા કોઈ ખરાબ અનુભવને કારણે પુરુષ પર વિશ્ર્વાસ મૂકવા તૈયાર નહોતા. એ તેમની અંગત બાબત હોઈ શકે પણ મિત્રતામાં પણ સેક્સ વિનાનો કે સેક્સ સાથેનો સંબંધ આપણને કેમ સ્વીકાર્ય નથી? પુરુષને પણ પોતાના પર વિશ્ર્વાસ ન રાખવા બદલ ખોટું લગાડવાનો અધિકાર છે. જો કાયદો હોય તો સ્ત્રી અને પુરુષ માટે સરખો હોવો જોઈએ. દરેક સંબંધોમાં પુખ્ત સ્ત્રી પણ પોતાના વર્તન માટે જવાબદાર હોવી જોઈએ. ફક્ત પુરુષને જ ખરાબ વર્તન માટે જવાબદાર ન ઠેરવી શકાય. એ ખરું કે પુરુષો બળાત્કાર કરી શકવા સક્ષમ હોય છે પણ તેથી દરેક પુરુષ બળાત્કારી છે તે માનીને ચાલવું કે વર્તન કરવું તે પુરુષો માટે અપમાનજનક છે. હાઈ કોર્ટે પણ આ જ વાત કરી છે. જો પુરુષ પોતે પરિણીત છે તે છુપાવીને છેતરપિંડી કરીને સંબંધ બાંધે છે તો તે ગુનેગાર હોઈ શકે. પણ લાંબો સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે કોઈપણ કારણોસર સંબંધોમાં તિરાડ પડે એટલે બળાત્કારનો કેસ કરવો યોગ્ય નથી. જો બળાત્કાર જ હોય તો પહેલી જ વખત બંધાયેલા સંબંધ વખતે ફરિયાદ કરવી જોઈએ. પણ ત્યારે ફરિયાદ નથી કરવામાં આવતી કારણ કે પુખ્ત સ્ત્રીને ખબર હોય છે કે તેણે સમજદારીથી કે સામી વ્યક્તિ પાસેથી કશીક આશા હોવાને કારણે સંબંધ બાંધ્યો હોય છે. આ જોતાં કહી શકાય કે સ્ત્રીએ પણ પોતાની માનસિકતા બદલવા તૈયાર રહેવું પડશે.

પુરુષને ફક્ત સ્ત્રીના શરીરમાં જ રસ હોય છે તે પૂરું સત્ય નથી. ૧૯૯૦ની સાલમાં ફેઈનગોલ્ડ એ દ્વારા કરવામાં આવેલા સ્ત્રી-પુરુષ સંબંધો અને આકર્ષણ અંગેના અભ્યાસમાં સાબિત થયું હતું કે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ સામી વ્યક્તિના દેખાવમાં રસ હોય છે. ફીશર, એલેકઝાન્ડર (૨૦૦૩)વિલેટ્ટ, સ્પ્રેચર (૨૦૦૪) ઉપરાંત બીજા અનેક સાયકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે સ્ત્રીઓ કેઝયુઅલ સેક્સ બાંધતી હોય છે પણ આપણા સમાજના નિયમોને કારણે તેનો સ્વીકાર કરતાં ડરતી હોય છે. અથવા તો સમાજિક માન્યતાઓને કારણે તે પહેલ કરતી નથી. એટલે જ જ્યારે આવું કંઈક થાય છે ત્યારે જવાબદારી ઉપાડવાથી સ્ત્રી ડરતી હોય છે. પુરુષો વિશ્ર્વાસ કરવાને લાયક નથી તેવી માન્યતાઓ વધુ દૃઢ બનતી જતી હોય છે. જો એવું જ હોય તો આજે જેટલા બળાત્કાર થાય છે તેના કરતાં પચાસગણા વધુ બળાત્કારોના કિસ્સા બનતાં હોત. જાતીય સતામણીના કિસ્સાઓ નથી બનતાં એવું નથી પણ તેમાં ય કેટલાક કિસ્સાઓમાં શક્ય છે કે સ્ત્રી પોતાના વર્તનની જવાબદારી લેતાં ડરતી હોવાને કારણે બ્લેમગેમ પુરુષ પર નાખીને પોતે છૂટી જતી હોય છે. કોઈપણ જાતની છેતરપિંડી યોગ્ય નથી જ પછી તે પુરુષ કરે કે સ્ત્રી. એટલે જ ટુ બી ઓર નોટ ટુ બીના આજના અસમંજસમાં અટવાતાં સ્ત્રી પુરુષોના સંબંધોને મોકળાશ આપતાં વિચારોની જરૂર છે. પુરુષોને જ ગુનાના પાંજરામાં ઊભો કરી દેવાથી હકીકત બદલાઈ શકે નહીં.

You Might Also Like

0 comments