હત્યા-આત્મહત્યાના આટાપાટા

03:04

                                      

ગયા મહિને મુંબઈના થાણામાં એક પુરુષે (હસનાન અનવર) માતા, પિતા, પત્ની, બાળકો અને બહેનો એમ મળીને કુલ ૧૪ જણની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો. આ કિસ્સાએ દેશ-વિદેશમાં દરેકને સ્તબ્ધ કરી દીધા. મારી આંખ સામે દશેક વરસ પહેલાંનું એક દ્રશ્ય યાદ આવ્યું. મુંબઈના પશ્ર્ચિમી પરાં સાંતાક્રુઝમાં વરસાદી માહોલમાં પોતાના પરિવારના ચારેક જણાંને ખોરાકી ઝેર આપી, ગૂંગળાવીને મારી નાખ્યા બાદ પુરુષે પોતે પણ આત્મહત્યા કરી હતી. તેના પર અહેવાલ લખવા માટે એ વિસ્તાર જોવા ગઈ હતી. વરસાદી સાંજ એ મકાનોમાં ઓર ગમગીન લાગતી હતી. એલઆઈસી કોલોની હતી. કમ્પાઉન્ડમાં કોઈ જ નહોતું. મકાનોની હારમાળા પસાર કરતી જે મકાનના તળ મજલાના ફ્લેટમાં આ ઘટના બની હતી ત્યાં પહોંચી તો અંધારું અંદર ઓર ઘેરું હતું. એક પોલીસ એટલામાં આવ્યો અને તેણે ફ્લેટ ખોલ્યો. અંદર જવાની પરવાનગી તેણે આપી. સાંજને લીધે કે પછી એ ઘટનાને લીધે બે બેડરૂમના એ ફ્લેટમાં ટ્યુબલાઈટનું અજવાળું છતાં અવસાદનો ભાર અનુભવાતો હતો. સવારે જ મૃતદેહને લઈ જવાયા હતા. કાલ સુધી બધા જ એ ઘરમાં રહેતા હતા. રસોડામાં કાલના વાસણ એમ જ પડ્યા હતા. કપડાં વરંડામાં સુકાતા હતા. ચંપલો પડ્યા હતા. ઘરની ગોઠવાયેલી કે અસ્તવ્યસ્ત વસ્તુઓ રહેતા લોકોની સાક્ષી પુરાવતું હતું પણ હવે અહીં કોઈ નહીં આવે. વધુ વાર ઊભા ન રહી શકાયું. કેટલીય ઈચ્છાઓ જે આમતેમ વેરાયેલી પડી હતી તે મને ભીંસી રહી હતી જાણે. શું મળ્યું હશે એ પુરુષને આમ બધાને મારી નાખીને? તેને પોતાની દીકરીના સંબંધો સામે વાંધો હતો. એટલે તેણે પોતાની બે મોટી દીકરીઓ, પત્ની અને એક કામવાળી કે કોઈ કુટુંબી તેને મારી નાખી, પોતે પણ મરી ગયો ઝેર પીને. ઝેર તેણે જબરદસ્તીથી પીવડાવ્યું હશે કે બધાયે જાતે પી લીધું હશે? સવાલ થાય પણ ફ્લેટમાં ક્યાંય ઝપાઝપીના નિશાન નહોતા. 

થાણાની ઘટનાનું વર્ણન વાંચીને એ દ્રશ્યો મનમાં ફરી વળ્યા. આવું જ કંઈક એ ઘરમાં પણ હશે. કદાચ ત્યાં આનાથી વધુ ગમગીન દ્રશ્યો હશે. કારણ કે એ માણસે બાળકો,બહેનો સૂતાં જ રહેંશી નાખ્યા અને માતા આજીજી કરતી રહી છતાં તેના ગળાંને રહેંશી નાખ્યું હતું. તે છતાં આસપાસના લોકો કહે છે કે માણસ ખૂબ સારો હતો. તેનો ફોટો જોતાં પણ કલ્પના ન આવે કે આટલો નિર્દોષ દેખાતો રૂપાળો યુવાન વ્યક્તિ આવું કરી શકે. તેને ઓળખનાર હજી કોઈ આ વાત માની શકતું નથી. તો પછી આવું કેમ કરીને બનતું હશે? તે પ્રશ્ર્ન દરેકને થાય જ. માની ન શકાય, મન ક્ષુબ્ધ થઈ જાય. 

ટૂંકમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઘરનો પુરુષ પોતાના વહાલસોયાં બાળકો અને પત્નીને મારી નાખીને પોતે પણ મરી જાય. જ્યારે પણ આવો પ્રસંગ બને કે લોકોને પ્રશ્ર્ન થાય કે અરે કેવું સરસ હસતું રમતું કુટુંબ હતું. એવું તે શું થયું કે ઘરના પુરુષે આખું ય કુટુંબ ખતમ કરી નાખ્યું? આવો સવાલ થાય પણ કારણો એવા ગંભીર જડતાં નથી. વળી આવું કરનાર વ્યક્તિએ આ પહેલાં કોઈ ગુનો કર્યો હોતો નથી. એટલે કે તેનું માનસ ગુનેગારનું હોતું નથી પરંતુ, પુરુષ સહજ માનસિકતાને પગલે જ આવું ગોઝારું કામ કરવાનું બને છે. 

અમેરિકામાં તો વરસના અનેક આવા કિસ્સા બનતા રહે છે તો ભારતમાં ય હવે આવા કિસ્સાઓની નવાઈ નથી. અમેરિકાના બોસ્ટન શહેરમાં આવેલી નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના ક્રિમિનોલોજી અને સોશિયોલોજીના પ્રોફેસર જેક લેવિને ફેમિલી એનહેલિલેટર અર્થાત્ આ રીતે કુટુંબને મારી નાખનારાઓનો અભ્યાસ કર્યા બાદ એ તારણ પર આવ્યા છે કે મોટેભાગે આવા પુરુષો જાણતા હોય છે કે તેમણે શું કરવાનું હોય છે. તેઓ વેલ પ્લાન કરીને ખૂન કરે છે તથા આપઘાત કરે છે. તેઓ પોતાના કુટુંબ સિવાય બીજી વ્યક્તિઓને મારતા નથી. વળી આવા પુરુષો મધ્યમ વયના હોય છે. મોટેભાગે આવી વ્યક્તિઓમાં ક્રોધ અને ઘાતકીપણું બેકાબૂ બની જાય તે હદે હોય છે. કેટલીક વખત તેઓ એના પર કાબૂ મેળવી શકતી નથી. જો કે આવી વ્યક્તિઓ તો અનેક આપણી આસપાસ જોવા મળી શકે છે એટલે જરૂરી નથી કે દરેક આવી ક્રોધી વ્યક્તિ પોતાના કુટુંબને રહેંશી નાખે એટલી ઘાતકી બને. એટલે જ આવી વ્યક્તિઓની વૃત્તિ વિશે પહેલેથી જાણ થઈ શકતી નથી. 

મોટેભાગે આવી વ્યક્તિઓને પોતાના કુટુંબ પ્રત્યે ખૂબ લગાવ, મમતા હોય છે. તેમની આસપાસના સમાજમાં તેની છાપ સારી હોય છે. ઘરની વ્યક્તિઓ ઉપર જ તે ક્રોધ ઉતારતો હોય છે. આર્થિક રીતે સંકડામણ આવવાથી 

પોતાની લાઈફસ્ટાઈલ મેઈન્ટન ન કરી શકવાની શક્યતા જોતાં તે બાળકો અને પત્નીને મારી નાખીને પોતે મરી જાય છે, અથવા ક્યારેક બીજા કારણો હોય છે. સાઈકૉલૉજિસ્ટના મતે આવા પુરુષો પિતૃસત્તાક માનસિકતા ધરાવતા હોય છે. પોતાના કુટુંબ માટે પઝેસિવ હોય છે. પોતાના કુટુંબની જવાબદારી પોતાની જ છે એવું દ્રઢપણે માનતા હોય છે. એ જવાબદારી પૂરી ન કરી શકાતા તેઓ પોતાને ફેઈલ્યોર માને છે. પોતાની નિષ્ફળતા એક પુરુષ તરીકે સહન ન થતાં તે હતાશામાં સરી પડે છે. વળી પુરુષો પોતાનું અંતર બીજા સામે ખોલતા નથી. સ્ત્રીઓની જેમ દરેક સુખ દુ:ખની વાત બીજાને કહી શકતા ન હોવાને કારણે મનનો આક્રોશ ઠલવાતો નથી. તેમાં એવી કોઈ ઘટના બને છે જે તેને ઘાતકી બનવા ઉશ્કેરે છે. વળી તેમાં જો કુટુંબને કારણભૂત માને તો પરિણામે તે પોતાની વ્હાલસોયી વ્યક્તિઓને જ ખતમ કરી નાખે છે. 

સ્ત્રીઓ પોતાના બાળકને મારી નાખે છે પણ ખૂબ જૂજ કિસ્સામાં. મોટેભાગે સુવાવડ બાદ સ્ત્રીઓને હોર્મોનલ ચેન્જીસને કારણે હતાશા આવવાની શક્યતા હોય છે. હોસ્પિટલના ડોકટર્સ અને નર્સ આ બાબત જાણતા હોય છે તેથી માતામાં હતાશાના કોઈ લક્ષણો દેખાય તો તેઓ ધ્યાન રાખે છે. એ સિવાય સાસરામાં ત્રાસ હોય તો બાળકોને કોણ સાચવશે તેની ચિંતામાં ઘણીવાર માતા બાળકો સાથે આપઘાત કરતી હોય છે. પણ પુરુષો જ્યારે બાળકોને મારી નાખતા હોય છે ત્યારે બાળકો નાના જ હોય તે જરૂરી નથી. વિદેશના સાઈકૉલૉજિસ્ટ્સ આ ઘટનાને ફેમિલી એનીહિલેશન તરીકે ઓળખાવે છે. આપણે તેને કુટુંબ નિકંદન કહી શકીએ. ઉન્મત્ત બનેલું માનસ આવું કરી શકે છે. મહાભારતમાં યાદવાસ્થળી પણ તેનું એક ઉદાહરણ છે. 

પુરુષ માનસ ક્યારેક પોતાની પત્ની પરના રોષને કારણે ય બાળકો અને પત્નીની હત્યા કરી બેસે છે. પછી લાગણીવશ થઈને તથા સજા થવાના ડરને કારણે પોતે પણ આત્મહત્યા કરે છે. કેટલાક કિસ્સામાં પુરુષ બાળકોને મારી નાખ્યા બાદ બચી પણ જાય છે. સાઈકૉલૉજિસ્ટોએ તેમની માનસિકતાનો અભ્યાસ કરીને જ કેટલાક તારણો કાઢ્યા છે. તેમાં મુખ્ય તો પૌરુષીય અહમ્ને કારણે જ આવા કિસ્સાઓ બને છે તે હકીકત છે. આવી ઘટના બાદ એવું પણ કહેવાતું હોય છે કે શું આવી ઘટના રોકી ન શકાત ? તો એનો જવાબ ના જ આવે. કારણ કે આવી ઘટના બનશે તેની ખુદ હત્યા-આત્મહત્યા કરનારને પણ ખબર નથી હોતી. એ વાત ખરી કે આવી વ્યક્તિઓની માનસિકતા વિક્ષિપ્ત જરૂર હોય છે. તેમના કુટુંબીઓ જ તેમની વિક્ષિપ્તતા સાચવી લેતા હોય છે કે છુપાવતા હોય છે. જેમ કે ૧૪ કુટુંબીઓની હત્યા કરનાર થાણેની વ્યક્તિ હસનાન અનવરે આ પહેલાં પણ કુટુંબીઓને મારવાના પ્રયત્નો કર્યા હતા. તેણે પોતાની બહેનની જાતીય સતામણી કરી હતી. વળી તેની નોકરી પણ કાયમી નહોતી. તે ક્યાં નોકરી કરતો હતો તે પણ ઘરના કે આસપાસના લોકોને ખબર નહોતી. 

આમ અનેક કારણોની શોધ પાછળથી કરવામાં આવે છે પણ તેનો કોઈ અર્થ નથી હોતો. એક આખુંય કુટુંબ એક ઘટનાને કારણે ભૂંસાઈ ગયું હોય છે. પૌરુષીય અહમ્ને કારણે એક કુટુંબ નષ્ટ થઈ ગયું હોય છે. આમ જોવા જઈએ તો એવા કોઈ જ કારણો નથી હોતા જે ટાળી નથી શકાતા કે કોઈ ગંભીર બાબત નથી હોતી કે હત્યા-આત્મહત્યા કરવાની જરૂર પડે. મનના ગૂંચવાડાઓને ઉકેલવાનો પ્રયત્નો માનસ ચિકિત્સકો કરે છે પરંતુ આવી ગમગીન ઘટનાઓને ટાળી નથી શકાતી તેનો અફસોસ રહે છે. આવી વ્યક્તિઓ થોડે અંશે પણ સાઈકોપેથ હોવાની શક્યતા હોય છે પણ સાઈકોપેથ આપણી આસપાસ અનેક વ્યક્તિઓ હોઈ શકે છે. તે વિશે માનસચિકિત્સકોએ સંશોધન કર્યું છે. એ વિશે હવે પછીના લેખમાં વિગતે વાત કરીશું.

You Might Also Like

1 comments

  1. સંયુક્ત કુટુંબ હોય તો આવી ઘટના બનવાની શક્યતા કદાચ ઓછી થઈ જાય.

    ReplyDelete