લખો અને સારું લખો ...વક્તવ્ય....

00:37

ભારતીય વિદ્યા ભવન અંધેરી ખાતે યોજાયેલ એડવોકેટ ડો. સુધીર શાહ અને અભિનેત્રી  સંગીતા જોશી આયોજીત લખો અને સારું લખો ... આખા દિવસના ફ્રી વર્કશોપનું આયોજન કર્યું હતું.  તેમાં મુંબઈ રહેતા વરિષ્ઠ પત્રકારો પિન્કી દલાલ, નંદિની ત્રિવેદી, તરુ કજારિયા, કેતન મિસ્ત્રી, હીરેન મહેતા, જયેશ ચિતલિયા, સાહિત્યકારો હિતેન આનંદપરા, મુકેશ જોષીએ  લેખક બનવા ઉત્સુકોને સંબોધ્યા હતા.  સો એક વ્યક્તિઓએ તેમાં   ભાગ લીધો હતો.  ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી, માલિક મૌલિક કોટક, મનન કોટક અને પ્રસિધ્ધ  લેખિકા વર્ષા અડાલજા પણ ઉપસ્થિત હતા.   મને પણ શરૂઆતમાં  બે શબ્દ  બોલવાનું આમંત્રણ મળ્યું હતું. પણ છેલ્લી  ક્ષણે  પંદરેક  મિનિટ બોલવાનું કહેવામાં આવ્યું.
કેટલાક ઓનલાઈન મિત્રોએ કહ્યું કે તમારું વક્તવ્ય શક્ય હોય તો અહીં મૂકો. મારી પહેલાં  પિન્કી દલાલ, તરુ કજારિયા અને નંદિની ત્રિવેદીએ તેમના વક્તવ્યમાં  પત્રકાર અને લેખક તરીકે કેવી રીતે લખવું તેમાં મોટાભાગના મુદ્દાઓ કહી જ દીધા હતા એટલે બોલતાં પહેલાં નક્કી કર્યું કે એ મુદ્દાઓને રિપીટ કરીને નવ લેખકોને કે  હાજર સુજ્ઞ શ્રોતાઓને કંટાળો ન આપવો.
મારું વક્તવ્ય જેના મુદ્દા મને યાદ છે કારણ કે તે મારા અનુભવમાંથી આવ્યા હતા.જેમ  સહજરીતે બોલાયા હતા તેવી જ રીતે લખીને આપ સમક્ષ મૂકું છું.

સૌ પ્રથમ તો મને આપ સૌની ઇર્ષ્યા આવે છે કે તમને આવું સક્રિય માર્ગદર્શન મળી રહ્યું છે. જ્યારે અહી ઉપસ્થિત કોઇ વક્તાએ સારું લેખન કરવા માટેના વર્ગ કે વર્કશોપનો લાભ નથી મળ્યો. તેને કારણે જ્યારે પત્રકારત્વના પ્રોફેશનમાં આવ્યા તે સમયે લખેલા લેખ કે રિપોર્ટ નજરનીં  સામે જ ક્રિટીસાઈઝ કરીને સીધા કચરા ટોપલીમાં પહોંચી ગયા હોય તેવા અનુભવો લઇને અહી પહોંચ્યા છે.  મારી વાત કરું તો મને વાંચનનો ખૂબ શોખ હતો. અને લખવાનું મન થતું પણ લેખક બની શકાય તેવું કોઇ માર્ગદર્શન ન હતું. એટલે બીકોમ થઈ અને કંપની સેક્રેટરી તરીકે ભણવાની સાથે કામ પણ શરૂ કર્યું. પણ એ કામ કરતાં મને ભીતરથી અવાજ આવતો રહ્યો કે મારે આ કામ કરીને જીવન નથી વિતાવવું. લોકોને મળવું, નવુ જાણવું ગમતું હોવાથી તે ક્ષેત્રે જ જવું જોઇએ એટલે પત્રકાર થવાનું વિચાર્યું. આમ કોઇપણ માર્ગદર્શન કે પ્લાનિંગ સિવાય મારી સફર શરૂ થઈ હતી તે આજે તમારી સમક્ષ લખો અને સારું લખો એ વિષયે બોલવા ઊભી છું.
મારો બાવીસ વરસનો અનુભવ અને જેટલું મેં અત્યાર સુધી વાંચ્યું છે તેના પરથી એક બાબત મને જે સમજાયું છે કે જેમ ગીત ગાવાનું મન થાય, ચિત્ર દોરવાનું મન થાય તેમ લખવાનું પણ સહજ મન થાય ત્યારે ચોક્કસ જ લખવું જોઇએ. પણ સારું લખવા માટે ભરપુર જીવવું જોઇએ. જીવનની દરેક ક્ષણમાં આપણી હાજરી હોવી જોઇએ. હું આ બોલી રહી છું તે ક્ષણે પણ આપનામાંથી કેટલાક અહીં નહીં પણ કોઇ બીજા જ વિચારોમાં ખોવાયેલા હશે. કાલે મને કોઇએ આમ કેમ કહ્યું હતું કે આવતી કાલે મારે શું કરવાનું છે. કે પછી આ વર્કશોપમાં લખવાનું છે તો હું શું લખીશ વગેરે વગેરે કહેવાનું તાત્પર્ય એ જ કે લખવા માટે નિરિક્ષણ શક્તિ ઓબ્જર્વેશનનું મહત્ત્વ હોય છે પણ આપણે હાજર જ ન હોઇએ તો નિરિક્ષણ કઈ રીતે કરી શકીએ, તમારામાંથી મોટાભાગના લોકો દશ, પંદર કે વીસ વરસથી એક જ ઘરમાં રહેતા હશે કે કેટલાક તો જન્મયા ત્યારથી ત્રીસ, ચાલીસ કે પચાસ વરસથી એ ઘરમાં રહેતા હશે. પણ જો તમને પૂછવામાં આવે કે તમારા મકાનના કમ્પાઉન્ડમાં કે ગલીમાં કેટલી જાતના વૃક્ષો છે અને તેમના નામ શું છે ... તો તમારામાંથી કોઇક જ સાચો જવાબ આપી શકશે. એનો અર્થ એ કે આપણે બસ જીવી જઈએ છીએ. પસાર થઈ જઈએ છીએ. ઉપરછલ્લું જ જીવીએ છીએ એટલે લખવાનું આવે તો પણ ઉપરછલ્લું જ લખાય.
બીજી એક બાબત કે તમે સૌ લેખક બનવા માગો છો તો તમારી વય મુજબ કે અનુભવ મુજબ લખો. બાળક જેવું નહી. તમે બાળક તરીકે જે રીતે જીવતાં હતા તે રીતે જ આજે નથી જીવતા. તમે બદલાયા છો તો તમારા લખાણમાં પણ બદલાવ આવવો જ જોઇએ. બાળક જેવું ન લખો એટલે એમ નહીં કે બાળસાહિત્ય ન લખો એ પણ લખો જ પણ તેમાં રચનાત્મકતા હોવી જોઇએ. ઘનશ્યામ દેસાઈની બાળવાર્તાઓ વાંચવી જોઇએ. તેમાં કેટલી રચનાત્મકતા છે. પણ તમે જ્યારે કવિતા કે નવલિકા કે નવલકથા કે બીજો કોઇપણ પ્રકાર લખો તો તેમાં રચનાત્મકતા હોવી જોઇએ. તમારા વિચારો હોવા જોઇએ. વિચારો માટે વાંચન જોઇએ. વાંચન તમને જુદી રીતે વિચારતાં કરે છે. તમે કહેશો કે વિચારીએ તો છીએ જ. પણ કેટલાક લોકોનો વિચાર પણ બબડાટ જેવો હોય છે. વૈચારિક મુદ્દામાં તમારી પોતાના અલગ મુદ્દાઓ હોવા જોઇએ. તમે કોઇની વાત પર સહમત ન થાઓ તો તેનો વિરોધ કરો ત્યારે તે મુદ્દાઓ લોજીકલ હોવા જોઇએ. તે માટે બીજાના જુદા વિચારોનો ય આદર કરવો ઘટે. બાકી આજકાલ સોશ્યલ મિડિયામાં એકબીજાનો વિરોધ કરવાની આજે ફેશન થઈ ચાલી છે.
એ સિવાય તમે લખો તો તમારા માટે લખો. આ હું કહું છું કારણ કે અત્યાર સુધી મેં મને ગમ્યું છે એટલે જ લખ્યું છે. મારું એકપણ પુસ્તક અત્યાર સુધી છપાયું નથી કે મને કોઇ એવોર્ડ મળ્યો નથી. આવી કોઇ બાબત મને લખવા માટે નિરુત્સાહ નથી કરતી. આપણું લખાણ છપાય અને લોકો વખાણે તે ગમે જ. પણ જો પોતાને માટે લખાતું હોય તો તેનો પહેલો આત્મસંતોષ મળી જ જતો હોય છે. વળી જો તમે ભરપૂર જીવ્યા હો તો સારું લખી જ શકશો. તો કોઇને પણ તે વાંચવાની ઇચ્છા થશે જ. આજકાલ લોકોને પોતાના લખાણ ટેગ કરવાની ટેવ પડી ગઈ છે.
તમે કોઇને જબરદસ્તીથી વાંચવાનું ન કહી શકો. જેમ દરેક માને પોતાનું બાળક સુંદર લાગે તેમ દરેક લેખકને પણ પોતાનું લખાણ શ્રેષ્ઠ જ લાગે પણ જરૂરી નથી કે તે બીજાને પણ સારું જ લાગે. એટલે તેને કોઇને ટેગ કરવાનું ટાળો. તેના વિશે ટિકા સાંભળવાની કે તેના રિજેકશનનો પણ સ્વીકાર કરો.  કે જબરદસ્તીથી વાંચવાનું કદીય ન કહેવું. જો તમે સારું વિચારતો હશો, તો સારું લખતા હશો તેનો ખ્યાલ પણ બીજાને આવી જ જશે. દાખલા તરીકે તમે માંદા હો કે મૂડમાં ન હો તો તમારો ચહેરો જોઇને જ બીજાને ખ્યાલ આવી જાય છે તેમ તમે જો ખુશ હો કે જરા જુદી રીતે તૈયાર થયા હો તો પણ લોકો નોંધ લેતા હોય છે. એ જ રીતે તમે લખવાનું ચાલુ રાખો. તમારી બે લીટી સાંભળીને કે તમારા બે વાક્યો સાંભળીને લોકો સામેથી પૂછે કે હજી કહો કે લખતાં હો તો મને વાંચવા આપો ત્યારે ખરું. અને આજે તો ટેકનોલોજીના જમાનામાં વાચકો સુધી પહોંચવું સહેલું છે. તમે તમારો બ્લોગ લખો અને ફેસબુક પર મૂકો હા અગેઇન ટેગ ન કરો કોઇને તે યોગ્ય નથી. પણ આજકાલ તો જુદો જ ચાલ થયો છે. બીજાના વિચારો અને બીજાના લખાણો લોકો બીજાને ધરાર ટેગ કરે છે. આ જુલ્મ છે. તમારા પોતાના આગવા વિચારો હોય અને મુદ્દાસર હોય કે તેમાં કંઇક જુદું હોય તો તેની નોંધ લેવાય જ છે. ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીએ આવી જ રીતે એક લેખિકા ધૃતિકા સંજીવની કોલમ ચિત્રલેખામાં શરૂ કરી છે. એટલે આજે તમે સારું લખતાં હશો તો ક્યારેક તો ક્યાંક પહોંચે જ છે. તે માટે ધીરજ ધરો અને પોતાના માટે લખો નહી કે બીજાને વંચાવવા માટે જ લખવું. અહીં પ્રવાસ વર્ણનની સ્પર્ધાની ય વાત થઈ રહી છે. તો પ્રવાસ બહારનો જ હોય તે જરૂરી નથી. પ્રવાસ કોઇપણ સ્મૃતિનો કે તમને પોતાને સ્પર્શેલી બાબતનો હોઇ શકે. અત્યાર હું કોઇ તૈયારી નહોતી કરીને આવી એટલે હાલમાં આ સંદર્ભે મને મારી જ વાત સુઝે છે તે કહું... હું કાલબાદેવીમાં મોટી થઈ. હાલમાં જ જ્યારે ગણેશોસત્સવ ઉજવ્યો ત્યારે મને જુની સ્મૃતિ યાદ આવી. અમારી ગલીની અને તેની સાથે યાદ આવી આલેપાકની, આલેપાક એટલે આદુનો પાક. તેને વેચવા માટે નીકળતો મ્હાતારો ફેરિયો મને નખશીખ યાદ છે. અને તેની આલે પાક વેચતા જે રીતે બોલતો તે રીત પણ મેં ક્યારેય તે ખાધો નથી. તે સ્મૃતિની વાત મેં બ્લોગ અને ફેસબુક પર લખીને મૂકી તો મને કેટલાય લોકોએ લખ્યું કે અરે અમે તે ખાધો છે તેનો સ્વાદ વગેરે...તેમને પણ પોતાના સમયમાં જવાનો આનંદ આવ્યો. તો એ સમયે હું તેમાં પરોવાયેલી હતી એટલે આજે ય તેની તીવ્રતા એમ જ મારામાં હતી. જો તમે એ ક્ષણમા જીવતા હો તો એ ઇન્ટેનસિટીથી તમે લખી શકશો. છેલ્લે ફરી એ જ રિપીટ કરીશ કે ભરપુર જીવો અને સારું લખો. એ માટે સારું વાંચો અને સારું વિચારો. આભાર 

You Might Also Like

1 comments