જીવનની તકલીફોને આવકારો 17-9-14

22:43

રમતગમતના ક્ષેત્રે એક મહત્ત્વનો પાઠ ભણાવાય છે, તમે પડ્યા એ તો જ સ્વીકારી શકાય જો તમે તરત ઊભા થવાનો પ્રયત્ન કર્યો હોય. ફુટબોલ- બાસ્કેટ બોલ કે અન્ય  ખેલ માટે પણ સતત દોડવું મહત્ત્વનું હોય  છે. જીવનમાં વિપરીત સંજોગો આપણને પાડી દેતા હોય છે પણ તેમાંથી તરત જ ઊભા થવાનો પ્રયત્ન કરનાર જ જીવન જીવી શકતો હોય છે.   જીવનમાં તકલીફો તો આવ્યા જ કરતી હોય છે. દરેક વખતે આપણું ધાર્યું થતું  નથી એ હકિકત છે પરંતુ, જ્યારે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તે સમયે આપણે જે વિચારીએ છીએ, પરિસ્થિતિને સ્વીકારીએ કે નકારીએ છીએ તેના આધારે આપણું જીવન ઘડાતું હોય છે. જીવનમાં નાની મોટી અનેક અડચણો આવતી હોય છે તેને પડકારીને જીવન જીવી શકાય છે તો તેનાથી હારીને જીવન હારી બેસતા લોકો પણ આસપાસ જોવા મળે છે. કેટલાક તો  જીવનનો અંત આત્મહત્યાથી લાવી દેતા હોય છે...એમ કરવાથી જીવનનો અંત આવે છે પણ સમસ્યાનો નહીં.
અમેરિકાના એક નાના શહેર ઓરેગોનમાં રહેતા ડેન વ્હીટનીને 2012માં સેન્ટીએમ ક્રિશ્ચિઅન હાઈસ્કુલમાં સોફ્ટબોલ કોચ તરીકે નિમવામાં આવ્યો.સોફ્ટબોલ એ બેઝબોલ જેવી રમત છે. ફક્ત તેમાં બોલની સાઈઝ બેઝબોલ કરતી જુદી અને મોટી હોય છે. આ રમત અમેરિકામાં પ્રસિધ્ધ છે. તેને ઇન્ડોર પણ રમી શકાતી હોય છે. આ રમતમાં ય બેટિંગ અને બોલિંગ કરવાની હોય છે. અને નવથી દશ જણાની ટીમમાં જ રમાતી  હોય છે.  કોઇપણ રમતના કોચ તરીકે નિમાવું તે મોટી વાત નથી પરંતુ, ફક્ત બાર વરસ પહેલાં ડેન વ્હીટની પેરેલાઈઝડ હતો અને ડોકટરોએ કહી દીધું હતું કે વ્હીટની કોઇ દિવસ ચાલી નહીં શકે. તે સમયે જેમણે પણ ડેન વ્હીટનીને જોયો છે તેમને મન ડેનનું જીવન ચમત્કાર જેવું જ છે.
ડિસેમ્બર 2000ની સાલમાં ડેન વ્હીટની તેના મિત્ર સાથે અમેરિકાના સાન્તાક્રુઝ  વિસ્તારના પર્વતો પર બાઈકિંગ માટે નીકળ્યો હતો. પર્વતો પર બાઈક લઈને ફરવું તે વ્હીટની માટે સામાન્ય હતું. પણ તે દિવસોમાં ડુંગરાઓમાં  વરસાદ પડવાને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેવામાં ડેન વ્હીટનીએ બેલેન્સ ગુમાવ્યું અને તેને ગંભીર અકસ્માત નડ્યો. તેને કરોડરજ્જુમાં જબરદસ્ત માર વાગ્યો હતો. તેના શરીરનો ગરદનથી નીચેનો ભાગ અચેતન એટલેકે પેરેલાઈઝડ થઈ ગયો હતો.  એરલિફ્ટ કરીને તેને હોસ્પિટલ પહોંચાડાયો હતો.  હાલત જોઇને ડોકટરોએ તો તેના જીવવાની આશા પણ મૂકી દીધી હતી. ડોકટરનું કહેવું હતું  કે જો વ્હીટની  જીવશે તો તેનું જીવન સરળ નહીં હોય. કારણ કે તેને અનેક શારિરીક તકલીફોનો સામનો કરવો પડશે.  તે ક્યારેય પેરેલિસિસમાંથી બહાર આવી શકે એવી આશા પણ ડોકટરોને નહોતી. એટલે થોડો સમયમાં તેને ઘરે લઈ જવામાં આવ્યો. 
આઠ દિવસ બાદ તેનો અંગુઠો હલાવી શકતા વ્હીટની ફરીથી હોસ્પિટલમાં ગયો નવી આશા સાથે પણ તેનું ચેકઅપ કર્યા બાદ ફરીથી ડોકટરોએ કહ્યું કે તેની શારિરીક પરિસ્થિતિમાં કોઇ જ ફરક નહીં પડે અને તેણે પથારીમાં સુતાં સુતાં જ બાકીની જીંદગી જીવવી રહી. અકસ્માત બાદ વ્હીટની અને તેની પત્નિ કેન્ડીએ નક્કી કર્યું હતું કે તેઓ નકારાત્મક વિચારો કે વાતો નહીં કરે. જે પરિસ્થિતિ આવી પડી છે તેને સ્વીકારી લેશે. અને રોદણાં નહીં રડવાના.  તેણે ઘરે ફિજીયોથેરેપીની ટ્રિટમેન્ટ લેવા માંડી. વ્હીટનીએ નક્કી કર્યું કે તે એક દિવસ ઊભો થઈને પોતાના પગ પર ચાલતો થશે. તેણે સખત મહેનતથી કસરતો કરવા માંડી. ડોકટરોની ના પછી કોઇ આમ સતત મંડ્યુ રહ્યું હોય તેવું સાંભળ્યું નહોતું. પણ ડેન વ્હીટની પલંગમાં સૂઈને જીંદગી નહીં જ વીતાવે તે નક્કી હતું. એટલે હિંમત હાર્યા વગર કે થાક્યા વગર કસરતો કરતો રહ્યો.  ધીમેધીમે તેના એક એક અંગ ફરીથી કામ કરવા લાગ્યા. એમ તેનો ઉત્સાહ બેવડાવા લાગ્યો.


ધીમે ધીમે તે  ક્લચીસ પહેરીને ચાલતો થયો. ડોકટરો અને લોકોના આશ્ચર્ય વચ્ચે તે કોઇના પણ સહારા વિના ચાલતો થયો. તમે આને ચમત્કાર ગણાવી શકો છો. પરંતુ, ડેન વ્હીટની કહે છે કે અમે શરુઆતથી જ નક્કી કર્યું હતું કે એકપણ વખત રડીને કહેવું નહીં કે ઓહ ભગવાન તમે મારી સાથે આ શું કર્યું. આવી પડેલી પરિસ્થિતિને સ્વીકારી લેવી. મારી ગરદન તૂટી ગઇ છે  અફસોસ કરવાથી સંધાઈ નહીં જાય. દરેક પરિસ્થિતિ ઘટના છે, અકસ્માત નથી.
અકસ્માત પહેલાં ડેન સોફ્ટબોલની રમતમાં ચેમ્પિયન રહી ચુક્યો હતો. અને તેની પાસે સારો એવો અનુભવ હતો રમતનો. પણ તે હવે રમી  શકે એમ નહતો પરંતુ, જે રીતે તે જીવનની રમતમાં જીત્યો એ જોઇને ખેલાડીઓમાં તે વધુ પ્રેરણાદાયી બની શકે એમ હોવાથી જ  સ્કુલે તેને કોચ તરીકે લેવાનો નિર્ણય કર્યો હતો.   

કોચ તરીકે નિમણૂક થયા બાદ તેણે પોતાની ટીમને પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું કે સંજોગો તમને પાડી દઇ શકે છે કે પણ તેમાંથી પાછા ઊભા થઈને જોઇશું તો નવજીવન તમારા સ્વાગત માટે રાહ જોઇ રહ્યું હશે. આપણે જ્યારે કોઇને ખરાબ સંજોગો કે તેમના દુખના સમયે સધિયારો આપતા કહીએ છીએ  કે હશે ઇશ્વરને ગમ્યું તે ખરું. પરંતુ, આપણા જીવનમાં આવતી અડચણો સામે આપણે હામ હારી દેતા હોઇએ છીએ. અડચણ ગમે તેટલી મોટી કેમ નહોય પણ તે જીવનથી મોટી ન હોઇ શકે. ડેનના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. નાની બાબતોમાં ય લોકો જીવન હારી જતાં આત્મહત્યા કરતાં હોય છે. કે ડિપ્રેશનમાં સરી પડતાં હોય છે. સંજોગોની સામે હાર માન્યા સિવાય સતત તેની સામે બાથ ભીડવાથી રસ્તો મળી જ આવતો હોય છે. 

You Might Also Like

0 comments