પુરુષાતનના પ્રશ્નો 15-7-14

19:55

એક  ભાઈએ લિંગવર્ધક જાહેરાત જોઇને તેનો ઓર્ડર નોંધાવ્યો અને હજારેક રૂપિયા પણ આપ્યા. થોડા દિવસે તેમને એક પાર્સલ મળ્યું તેમાં બિલોરી કાચ હતો.
છેતરામણીની ફરિયાદ પણ કેવી રીતે થાય. કારણ કે તેના વિશે વાત કરતાં પુરુષોને અકળામણ થતી હોય છે. સતત અસલામતી, અસંમજસ પુરુષ અનુભવતો હોય તો તે પોતાના પુરુષાતન બાબતે જ હોય છે.
ગુજરાતી અખબારોના પાના પર સૌથી વધુ આવતી જાહેરોતો કોના માટે હોય છે ? તરત જ જવાબ આપશો કે સ્ત્રીના કોસ્મેટિક્સની..... ના સૌથી વધુ જાહેરાતો પુરુષોને માટે  હોય છે. તે પણ તેમના પુરુષાતનના પર્ફોમન્સ સંબંધે. આ જોઇને વિચાર આવે કે  સૌથી વધુ અસલામતી પુરુષોને બેડરૂમમાં જ અનુભવાતી હશે એવું લાગે છે.  
પુરુષો સ્ત્રીઓ કરતાં ય  વધુ ઇનસિક્યોરિટીનો અનુભવ કરતાં હોય છે. પુરુષો પોતાના દેખાવ અને પર્ફોમન્સ અંગે સતત આશંકિત રહે છે. આ વાક્ય આમ તો માનવું અઘરું જ નહીં અશક્ય લાગી શકે. અથવા તમે જાહેરમાં ન પણ એગ્રી કરો પણ અંદરખાનેથી તો આ હકિકત સ્વીકશો જ. હાલમાં જ એક અખબારમાં સવાલ વાંચ્યો 28 વરસના એક પુરુષે લખ્યું હતું કે તેના ટેસ્ટીકલ્સ મોટેભાગ નાના જ રહે છે. ડોકટરે જવાબ આપ્યો કે ભાઈ શું તમને કોઇ કામ નથી કે આખો દિવસ તેને જોયા કરો છો.... ઠંડી ગરમીની અસર ત્યાં પણ થતી હોય છે એટલે અન્ય કોઇ કામમાં ચિત્ત પરોવો તો સારું.
 આ હકિકત છે કે પુરુષોને પોતાના પુરુષત્વ માટે સૌથી  વધુ શંકાઓ અને અસલામતી અનુભવાતી હોય છે. વરસો પહેલાં મેં સેક્સોલોજીસ્ટ ડો. પ્રકાશ કોઠારી સાથે સેક્સ કોલમ સંભાળી હતી. વાચકોના પત્રો વાંચીને સવાલ તૈયાર કરવાના મારે ભાગે આવતા અને સેક્સોલોજીસ્ટ પાસેથી તેના જવાબ મેળવીને છાપવા માટે કોલમ તૈયાર કરવાની. પાંચેક વરસ આ કામ કર્યું. આ પત્રો 99(નવ્વાણું ) ટકા પુરુષોએ મોકલ્યા હોય. અને મોટેભાગે તેમાં એક યા બીજી રીતે ત્રણથી ચાર પ્રશ્નો જ વારંવાર પુછાતા  હોય જે આજે પણ પુરુષોને સતાવતાં હોય છે. કારણ કે આજે પણ સેક્સની કોલમો જેમાં પ્રશ્નો અને જવાબ જ હોય છે તેને વાંચશો તો કેટલાક સવાલો સતત રિપિટી થતાં હોય છે.
પુરુષોને જે સૌથી મોટો ભય સતાવતો હોય છે તે બેડરૂમ ફેઇલ્યોરિટીનો હોય છે. મસ્ક્યુલિનીટી એટલે કે પૌરુષત્વ ફક્ત એક જ વસ્તુ પર આધારિત હોય તેમ વાત ત્યાં જ આવીને અટકી જાય છે. તેમને હંમેશા પર્ફોમન્સનો ભય હોય છે. કોઇપણ પુરુષને વગર હથિયારે મારવો હોય તો તે સ્ત્રી કરી શકે છે. જો સ્ત્રી એમ કહી દે કે તે પરફોર્મ નથી કરી શકતો બસ ખતમ. પુરુષ જીવતે જીવ મરી જાય છે.  જન્મતાં જ જાતિ નક્કી કરવા માટે એક જ બાબત હોય છે ઇન્દ્રિય. પુરુષની જાતિ નક્કી કરતી આ ઇન્દ્રિય તેના આખાય અસ્તિત્વને એક ઓળખ આપે છે. મોટાભાગના પુરુષોને સમસ્યા પોતાની ઇન્દ્રિયના સાઈઝની સતાવતી હોય છે. શાળાના યુરિનરીમાં પેશાબ કરતાં પણ બાજુમાં ઊભેલા છોકરાને ત્રાંસી આંખે જોઇ લેવાનો કદાચ કોઇ ચુકતું નહીં હોય.  મોટાભાગની જાહેરાતો લિંગવર્ધક યંત્રની કે શીઘ્રસ્ખલનની સમસ્યા બાબતે આવતી હોય છે. પણ આ બાબતે પુરુષો ભાગ્યે જ  ડોકટર પાસે જઈને પોતાની શંકાનું સમાધાન કરે. એટલે જ  ન તો તેમની શંકાઓ દૂર થાય છે કોલમો વાંચીને કે ન તો તેમને સમજાય છે તેમને શું કરવું કારણ કે સ્ત્રીઓ ફેક ઓર્ગેઝમ દર્શાવવામાં માહેર હોય છે. વળી બેડરૂમ ટોક જેવું ક્યારેય કશું હોતું જ નહીં હોય નહીં તો આ પ્રશ્નો ઓછા થઈ ગયા હોત. 
 સતત આજે ય તેઓ આ જ સંબંધે પ્રશ્નો પૂછતાં રહેતા હોય છે. સૌ પહેલી  બાબત તેમને લાગે છે કે ઇન્દ્રિયની સાઈઝ નાની છે. આ નાના મોટાનો ખ્યાલ ક્યાંથી આવે છે? તો પોર્નોગ્રાફી જોતાં. જે વાસ્તવિકતાની બહારના દ્શ્યો દર્શાવતું હોય છે. પોર્નોગ્રાફી તે હકિકત નથી હોતી. તે કલ્પનાની પારનો પ્રદેશ છે તેને અનુસરી શકાય નહી. વરસોથી સેક્સોલોજીસ્ટ કહી કહીને થાક્યા કે સ્ત્રીઓને ઇન્દ્રિયની સાઈઝમાં નહી પણ સંતોષમાં, પ્રેમમાં રસ હોય છે. છતાં પુરુષ વાચક છે કે હજી એ જ પ્રશ્ન પૂછ્યા કરશે કે હું મારી નાની ઇન્દ્રિય સાથે સ્ત્રીને સંતોષ આપી શકીશ કે નહીં. પછી નામ નહીં લખે લખશે એક ભાઈ. પેન્સિલથી ગડબડ અક્ષરે લખાયેલ હોય કે મેઇલમાં વ્યવસ્થિતપણે લખાયેલ પ્રશ્ન હોય પણ એક ભાઈ હંમેશ અસંમજસમાં હશે પોતાની ઇન્દ્રિય માટે કે પછી તેના વાંકાપણા સાથે. ત્રીજો પ્રશ્ન હશે. શીઘ્રસ્ખલનનો. સિત્તેર વરસે પણ પુરુષને આ તકલીફ અસલામતી અનુભવાવી શકતી હોય છે. એ વાંચીને  નવાઈ ન લાગે તો જ નવાઈ.
સેક્સોલોજીસ્ટ સાથે મળીને હજારો પત્રોના જવાબ આપતાં લખ્યું છે અને આજે ય લખાતુ રહેતું હોય છે  કે ભાઈ શ્રી સ્ત્રીને સાઈઝમાં નહીં કે ડ્યુરેશનમાં નહી પણ  સંતોષમાં રસ હોય છે. પણ વળી વળીને એ જ પ્રશ્ન આવીને ઊભો રહે ત્યારે નવાઈ લાગે કે આ જ પુરુષો પિતૃસત્તાક માનસિકતાને જોરે હજી પણ એકચક્રી શાસન કરે છે.
થેન્ક ગોડ કે કેટલાક પુરુષો પુરુષાતનની ખોટી વાખ્યાઓમાંથી બહાર આવી રહ્યા છે. સ્ત્રૈણ કામો પૌરુષિય કામોનો જુદો ચોકો તેઓ નથી માંડતાં.કે નતો તેઓ કોઇ જાતની અસલામતી અનુભવે છે. અસલામતી અનુભવનાર વ્યક્તિ ખોટા પુરુષાતનના દેખાડાની માનસિકતાનો ભોગ હોય છે. જો કે તે માનસિકતા બદલાતાં વાર લાગી શકે એમ છે. સદીયોથી ડિએનએમાં પ્રવેશેલી માનસિકતાઓ બદલાવા માટે ય સમય આપવો પડે છે. બીજું પુરુષો ક્યારેય પોતાની અંગત વાત મિત્રો સાથે નહીં ચર્ચે. જો એમ થાય તો તેની મજાક ઊડાડવામાં આવે તેવો સતત ભય હોય છે. પુરુષ સતત બીજા પુરુષથી ભયભીત રહેતો હશે. ક્યાંક પોતે ય એવી રીતે મજાક ઊડાવતો હોય તો જ તેને બીજા પુરુષની પાસે પોતાની વાત કરતાં વાત કરતાં ભય લાગી શકે. અરે સેક્સોલોજીસ્ટ પાસે જનારા અનેક પુરુષો પોતાની સાચી ઓળખ છુપાવતા હોય છે. તેમને ભય હોય છે કે ક્યાંક સેક્સોલોજીસ્ટ કોઇની સાથે પોતાનું નામ ચર્ચે તો અથવા કેટલી હદે તે અસલામતી અનુભવતો હશે કે ડોકટર પાસે ય પોતાનું નામ ઓળખ છુપું રાખે.
ઓફ્ફ ધ રેકોર્ડ  એક સેક્સોલોજીસ્ટે મારી પાસે કબૂલ્યું છે કે, જેટલા પ્રમાણમાં પુરુષો તેમની ઓળખ છુપાવે છે તે  રીતે સ્ત્રીઓ છુપાવતી નથી. અમને ખ્યાલ પણ આવી જાય કે આ વ્યક્તિ ખોટું બોલે છે આત્મ વિશ્વાસની કમી અને અસલામતીનો ભય જ તેમને આવું કરવાની પ્રેરણા આપતો હોય છે. શારિરીક તકલીફો કરતાં આવા પુરુષોમાં માનસિકતા જ નબળી હોય છે. એટલે આડકતરી રીતે તેમની માનસિકતાને જ ટ્રીટ કરવી પડે છે. પરંતુ, તેમનામાં ધીરજ હોતી નથી. અને જે જેન્યુઇન હોય છે તેમનો ઇલાજ શક્ય પણ બને છે. પુરુષાતનની અસલામતી અનુભવતાં પુરુષોમાં અસફળ નહીં પણ સેલિબ્રિટી અને સફળતાના શિખરે બેસેલા લોકોનું પ્રમાણે ય  ઓછું નથી.
એની વે અહીં ન તો સેક્સ અંગે કે ન તો ઇલાજ પર મારે લખવું છે. પુરુષની અસલામતીના કારણો તપાસતાં જે સામે આવ્યુ તે અંગે નિખાલસપૂર્ણ લેખ લખવાની હિંમત કરી છે. સમસ્યાઓ હોઇ શકે છે અમને સ્ત્રીઓને પણ હોય છે. પરંતુ, પુરુષાતનનો આધાર ફક્ત એ એક જ બાબત પર નથી હોતો. તેને માટે માન્યતાઓને પોષ્યા કરતાં યોગ્ય માહિતી મેળવવી આજે ઘણી સહેલી છે. 


You Might Also Like

2 comments

  1. મનનીય લેખ અને એક વાત તો એકદમ સત્ય કે આ બાબતમાં સ્ત્રીની કોઈ પણ નેગેટીવ કોમેન્ટ પુરુષના આત્મવિશ્વાસના ભુક્કા બોલાવી દે છે. ખરેખર આ એક કામ સિવાય બીજું કોઈ કાર્ય એવું નથી કે જેના લીધે પ્રકૃતિમાં નરના અસ્તિત્વને જસ્ટીફાય કરી શકાય. માટે જ્યારે એમ લાગે છે કે આ કાર્ય માટે પોતે સક્ષમ નથી તો નર ડીપ્રેશનનો ભોગ બનીને આપઘાત કે ખૂન સધીના બનાવો પણ બની શકતા હોય છે. પત્ની કે પ્રેમિકાની બેવફાઈને એટલે જ પુરુષ સહેલાઈથી પચાવી નથી શકતો. ખરેખર કુદરત તો નારીવાદી છે અને જ્યાં દ્રેત સ્પેસીઝ અસ્તિત્વમાં આવી ત્યાં નર ઉત્પન્ન થયો. જ્યાં અદ્રેત હતું, જેમકે અમીબા ત્યાં નર-નારીનો ભેદ ન હતો પણ નવો જીવ ઉત્પન્ન કરી શકવાના ગુણધર્મને કારણે આપણે એમને નારી કહી શકીએ. જુરાસિક પાર્ક ચલચિત્રમાં એક વિગત એવી આવે છે કે જ્યાં ફક્ત માદા દેડકાઓ હોય ત્યાં અમુકનું નરમાં રૂપાંતર થઇ ને પણ જન્મની પ્રક્રિયા ચાલુ રહે છે. જ્યારે મેં બ્લોગીંગની શરૂઆત કરી ત્યારે એક પોસ્ટ લખી હતી કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમ્યાન નારીમાંથી નરનું સર્જન થયું છે, આદમની પાંસળીમાંથી હવ્વા પેદા થઇ એ વાતો હબંગ છે. સ્ત્રી કે પુરુષ, બંનેના શરીર તો મૂળભૂત કોષના બનલા છે, અને કોષ નું વિઘટન થઈને એક માંથી અનેક બને છે. એ રીતે બાળક પુખ્ત બને છે, માટે કોષને માદાગણીએ તો નર પણ બેસીકલી નારી શરીર ધરાવે છે એમ કહી શકાય. આ મારા વિચારો છે,કોઈનું દિલ દુભાવવાનો ઈરાદો નથી અને બની શકે કે હું ખોટો પણ હોઉં. આ વિષયમાં તો ઘણું લખાય એમ છે, અનંત વિષય છે. પણ આટલી કોમેન્ટ પુરતી છે.....અસ્તુ.

    ReplyDelete