માનવ ધર્મ જીવન ગુલાલ 29-5-13

23:33

જીવન એટલે ફક્ત શ્વાચ્છોશ્વાસની ક્રિયા નથી કે ન તો ઉંમરનો સરવાળો છે, પરંતુ, જીવનમાં આવતી કેટલીક ક્ષણોને એવી રીતે જીવીએ કે તે ધૂપસળીની જેમ લોકોમાં સુવાસ ફેલાવે. અને તે માટે ન તો મોટી ડિગ્રીઓની જરુર પડે છે કે ન તો ધનના ઢગલાની ગરજ પડે છે. આ બાબત આપણને સમજાવે છે રસિયાબીવી ... કેરળના એક ગામ અંબાલાપુઝાની મુસ્લિમ ગૃહિણીએ ઊચ્ચ  હિન્દુ જ્ઞાતિની વિધવા વૃધ્ધાને આપઘાત કરતાં રોકી એટલું જ નહીં તેને પોતાના ઘરે લઈ જઈ તેને ગૌરવપૂર્વક જીવવાનું ઇજન આપ્યું. આ રસિયાબીવીની વાતથી  પ્રભાવિત થઈને બનેલી એક મલયાલમ ફિલ્મ થાનીચલ્લાન ઝાને( અર્થાત હું એકલી નથી) નેશનલ એવોર્ડ મળ્યો છે પણ આ ફિલ્મને કોઇ થિયેટર દર્શાવવા તૈયાર નથી. આ ફિલ્મને નેશનલ ઇન્ટિગ્રેશન કેટેગરીમાં નરગીસ દત્ત એવોર્ડ આપવામાં આવ્યો છે.
અંબાલાપુઝા ગામની રહેવાસી રસિયાબીવી આજે ગ્રામ પંચાયતની ઉપ પ્રમુખ છે. 13 વરસ પહેલાં એટલે કે જાન્યુઆરી 2000ની સાલમાં રસિયાબીવી કોઇક કામસર બહાર જઈ રહ્યા હતા ત્યાં એમણે રેલ્વેના પાટા નજીક 76 વરસની ચેલમ્મા અનંથરાજનમને ઊભેલી જોઇ. તેને લાગ્યું કે આ સ્ત્રી સ્ટેશનનો રસ્તો શોધતાં ભૂલી પડી ગઈ લાગે છે. એટલે તે એની પાસે જઇને મદદ કરવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો ચેલ્લમ્મા રસિયાબીવી પર ગુસ્સે થઈ કે શું તું મને શાંતિથી મરવા પણ નહીં દે કે ? આ સાંભળીને રસિયાબીવીને તેના પ્રત્યે અનુકંપા થઈ આવી. ચેલ્લમ્માને આપઘાત કરવા માટેનું કારણ જાણવા માગ્યું. ચેલ્લમ્મા મધ્ય કેરળના એક શહેરમાં ઊચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મી અને ઉછરી. તેના લગ્ન માનસિક રીતે બીમાર પતિ સાથે થયા હતા. લગ્નના પાંચ વરસમાં જ તેનો પતિ મૃત્યુ પામ્યો. ત્યારબાદ તેણે પચ્ચીસ વરસ સુધી લોકોના ઘરના કામ કરીને વીતાવ્યા. વૃધ્ધત્વ આવતાં તે પોતાના ભાઈના ઘરે ગઈ પરંતુ ભાઈના ઘરમાં તેના માટે જગ્યા નહોતી. એટલે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું. પણ મરણ એટલું સહેલાઈથી આવે તેમ નહોતું. આ બધી વાત કરતાં જે ટ્રેન નીચે પડીને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું તે પસાર થઈ ગઇ.
રસિયાબીવી ચેલ્લમ્માને પોતાના ઘરે લઈ ગઈ અને તેને ખાતરી આપી કે તે મૃત્યુ પર્યંત તેને સાચવશે. રસિયાબીવી  તેના પતિ અને ત્રણ બાળકોની સાથે રહેતી હતી. ચેલ્લમ્માએ એક વિનંતિ કરી કે તેને પોતાનો હિન્દુ ધર્મ પાળવા દે અને રસિયાબીવી પૂજાપાનો સામાન અને દિવાબત્તી કરવાના સાધનો ઘરે લઈ આવી. પરંતુ, તકલીફ ભોજનથી ઊભી થઈ. ચેલ્લમ્મા શુધ્ધ શાકાહારી અને રસિયાબીવીના બાળકોને રોજ માંસમચ્છી જોઇએ. એટલે બે વરસતો રસિયાબીવી ચેલ્લમ્માને એક હિન્દુ વૃધ્ધાશ્રમમાં પોતાના ખર્ચે રાખી. બે વરસ બાદ તેણે સરકાર તરફથી ઘરબાર વિનાની વ્યક્તિઓને મળતી લોન લઈ તેમાં પોતાના પણ પૈસા ઉમેરી ચેલ્લમ્માને બે રુમનું ઘર બાંધી આપ્યું. રસિયાબીવી 89 વરસની ચેલ્લમ્માની દરેક જરુરિયાતનું  દીકરીની જેમ ધ્યાન રાખે છે. તેને રોજ મંદિરમાં પણ લઈ જાય. મુસ્લિમ સમાજે રસિયાબીવીને કહ્યું પણ ખરા કે તેણે ચેલ્લમ્માને મુસ્લિમ સમાજ તરફ વાળવી જોઇએ. પણ રસિયાએ સ્પષ્ટ ના પાડતાં કહ્યું કે હું મારો ધર્મ પાળીશ અને ચેલ્લમ્મા તેનો હિન્દુ ધર્મ પાળશે. હું તેના વ્યક્તિત્વનો દરેક રીતે આદર અને સ્વીકાર કરું છું.

નહીવત ભણેલ રસિયાબીવી અને ચેલ્લમ્માનો માનવ પ્રેમ ધર્મના વાડામાં બધ્ધ થઈને નથી જીવતો એટલે જ તેઓ માનવ ધર્મની ઊંચાઈઓને પામી શકી છે.  દરેક વ્યક્તિ સહજતાથી પોતાની સામે આવી પડેલ પરિસ્થિતિમાંથી યોગ્ય નિર્ણય લઈને જીવન જીવે તો તેને જીવનને ભરપૂર જીવ્યાનો અફસોસ ન રહે. તેનું જીવન ખરા અર્થમાં ગુલાલ બનીને ભગવાનના ચરણોને ચોક્કસ સ્પર્શી શકે.

You Might Also Like

0 comments