નવી શરુઆત કરીએ....

21:06


આજે નવું વરસ દરેક વાચકમિત્રોને મારા સાલમુબારક...અને નવા વરસની શુભેચ્છાઓ...  આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પુરતો હોય છે. દરેક પળ નવી હોય છે પરંતુ, જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. ક્યારેક એક પળ જીવનમાં એવી આવે છે કે જીવન નવેસરથી શરુ થતું હોય તેવું લાગે છે. તોવળી  કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જેઓ એકનું એક જીવન જીવતા નથી. તેઓ જીવનના મધ્યે પહોંચીને વળી નવી દિશામાં પ્રવાસ શરુ કરે છે. તદ્દન અજાણ્યો રસ્તો પકડી નવી મંઝિલની શોધમાં ઊપડે છે અથવા વિધિ તેમના માટે નવી કેડી રચી દેતી હોય છે. એપલ કંપનીના સ્થાપક અને ચેરમેન   સ્ટિવ જોબ્સે કદી વિચાર્યુ નહોતુ કે તે ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ રચશે. તેણે આવી કોઈ કલ્પના સાથે ભણવાનું શરુ નહોતું કર્યુ કે ન તો ટેકનોલોજી ક્ષેત્રે ડિગ્રી લીધી હતી. ઘીરુભાઈ અંબાણીએ પણ સામે જે રસ્તો મળ્યો ત્યાં ચાલવાનું શરુ કરી દીધું અને ક્યાંક તો નવી કેડી કંડારી ઈન્ડસ્ટ્રિ ઊભી કરી દીધી. અમિતાભ બચ્ચન હીરો બનવા નહોતા માગતા તેમણે પહેલાં તો ભણીને નોકરી કરી અને ફિલ્મમાં કામ મેળવવા ગયા તો તેમને લોકોએ સરળતાથી કામ નહોતું આપ્યું. ત્યાં સુપરસ્ટાર બનવાના સપના ન જ જોયા હોય ને. કેરેકટર એકટર તરીકે પ્રસિધ્ધ બોમન ઈરાનીએ અભિનય કારર્કિદીની શરુઆત 40ની ઉંમરે કરી હતી. તે પહેલાં તેઓ ફોટોગ્રાફર હતા. આપણી આસપાસ એવી અનેક વ્યક્તિઓ જોવા મળે છે જેઓ જીવનમાં એક હારને પચાવી શકતા નથી કે એક દરવાજો બંધ થતાં જ તેઓ હતાશ થઈને જીવનની બાજી હારી જાય છે. આપણે આ કોલમ ધ્વારા એવી વ્યક્તિત્વોની વાત કરીએ છીએ જેઓ હંમેશા જીવનપ્રવાહમાં સામા પ્રવાહે ચાલતા હોય છે. એવા વ્યક્તિત્વો વિશે વાંચ્યા બાદ કે મળ્યા બાદ આપણને ય નવી શરુઆત કરવાની પ્રેરણા મળતી હોય છે.
વલસાડમાં 700 વારના બગીચાની વચ્ચે આવેલા નાનકડા બંગલામાં હીંચકે ઝૂલતાં પક્ષીઓના અવાજને શાંતિથી સાંભળતા 51 વરસીય પ્રશાંતને કશુંજ કરવાની ઊતાવળ નથી. નામ પ્રમાણે જ પ્રશાંત મને તેઓ જીવન જીવે છે.  પ્રશાંત છેલ્લા છ વરસથી આજીવિકા માટે કોઈ કામ નથી કરતા. તમે જો વલસાડમાં પ્રશાંત દેસાઈને શોધવા જાઓ તો તમને ન ય મળે કારણ કે તેઓ તેમના હુલામણા નામ કેદારને નામે જ ઓળખાય છે. કેદારનું જીવન જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે અથવા નક્કી થઈ જાય કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. પણ એ એટલું સહેલું નથી. કેદારે આઈમીન પ્રશાંતને પોતાની રીતે જીવવું ગમે છે. અને કશું જ કામ કરવાની આળસ આવે છે એવું કહેતા તેઓ ઊમરે છે, કદાચ મારી એ આળસમાંથી જ વહેલા નિવૃત્તિ લેવાની વાત મારા મનમાં દ્રઢ થઈ ગઈ હતી. મારે તો ચાલીસમાં વરસે જ ઘરમાં બેસી જવું હતું પણ હું જ્યાં કામ કરતો હતો તે મારી કંપની માઈક્રોઇન્કના મારા માલિકોએ કહ્યું કે આખો દિવસ ઓફિસ ન આવ પણ બેત્રણ કલાક કામ કરવા આવી શકે. એટલે મેં થોડો વખત એવી રીતે પાર્ટ ટાઈમ જવાનું શરુ કર્યુ. પણ જમ્યા બાદ હીંચકે બેઠો હોઉં ને મનમાં ફડક રહે કે મારે ઓફિસે જવાનું છે ઘડિયાળ તરફ નજર રહે તે ય મને ગમતુ નહીં એટલે 46માં વરસથીતો મેં બસ ઓફિસ અને કામને સાવ  જ તિલાંજલી આપી દઈને મારી રીતે મારા માટે જીવવાનું શરુ કર્યુ. સાચુ કહું બહુ જ આનંદ આવે છે. વાંચો, કુદરતની વચ્ચે , સાથે રહેવાનું, અને સંગીત સાંભળવાનું. મિત્રોને મળવાનું આ બધામાં નવરાશ જ ક્યા છે કે કંટાળો આવે. ફરવા જવું હોય તો બસ ઊપડવાનું જ રહે. રજા કે વાર જોવાની ય જરુર નહીં.
પ્રશાંતભાઈ માઈક્રોઈન્કમાં બોર્ડના ડિરેકટર હતા. તેમણે વડોદરાથી એન્જિનયરીંગ કર્યા બાદ બીકે સ્કુલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પણ કર્યુ છે. ત્યારબાદ તેમણે એલેમ્બિક કંપનીમાં પ્રોડકટ મેનજર અને અતુલમાં એગ્રો ફાર્મા ડિવિજનમાં ઈન્ચાર્જ તરીકે આઠ વરસ કામ કર્યુ. ત્યાર બાદ અતુલની જ આ સિસ્ટર કન્સર્ન માઈક્રોઇન્ક કંપનીમાં 14 વરસ કામ કર્યુ. પ્રશાંત કહે છે, કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. કામ નિમિત્તે મારે અવારનવાર વિદેશ જવાનું થતું. ત્યારે હું પ્લેનની લાંબી મુસાફરીમાં વાંચતો અને મારું મનગમતું મ્યુઝિક સાંભળતો ક્યારેય કામ ન કરતો. વિદેશના કવિઓ વાંચવા ગમે એટલે વિદેશમાં પણ પુસ્તકો ખરીદું , મ્યુઝિયમ જોઉં આમ કામ પણ આનંદ પડે એવું જ કર્યુ છે. વહેલા નિવૃત્ત થવાના વિચાર સાથે મારા માતાપિતા કે મારી પત્નિ કોઈને જ વાંધો નહતો. હા કેટલાક સગાંઓ જરુર સવાલ કરતા કે કામ વગર શું કરીશ કે કેવી રીતે જીવીશ. પણ તેમને જવાબો આપવા મને જરુરી ન જણાતા. હું સારું કમાતો હતો એટલે મેં પૈસાનું આયોજન સારી રીતે કર્યુ હતું. આજે હું રુમી , ટાગોર,ગાલિબ અને અનેક વિદેશી કવિઓની સાથે મોજ કરુ છું. શાસ્ત્રિયથી લઈને ગઝલો, ફિલ્મિ ગીતો મનથાય ત્યારે સાંભળું છું. ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઊગાડું છું. ખરુ કહો તો જીવન જીવવાનું મેં 40 વરસ પછી શરુ કર્યુ. કશું જ ન કરવાનો આનંદ પણ અદભૂત હોય છે. ચાલો નવા વરસે નવા વિચારોને આવકારીએ નવા જીવનની શરુઆત કરીએ.


You Might Also Like

0 comments